(શાંકર ભાષ્ય)

ચોથું વ્યાસસૂત્રઃ ‘આત્મા સૌનું લક્ષ્ય (છે).’

ઈશ્વરને વેદાંત દ્વારા જાણવાનો છે. સર્વે વેદો તેનો નિર્દેશ કરે છે કે (જે કારણ છે; જે સ્રષ્ટા છે, પાલક છે અને સંહર્તા છે) હિંદુ દેવસમુદાયને શિખરે બિરાજતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશરૂપી ત્રિમૂર્તિનું એકીકરણ એ ઈશ્વર છે. ‘તું અમારો પિતા છે. આ અંધારા સાગરને સામે કિનારે તું અમને લઈ જાય છે.’ (શિષ્યના ગુરુ પ્રત્યેના બોલ)

વેદો તમને બ્રહ્મ બતાવી ન શકે; તમે તે છો જ; તેઓ માત્ર આપણી આંખો આડે રહેલા સત્યને ઢાંકતા આવરણને દૂર કરી શકે. અદૃશ્ય થનારું પહેલું આવરણ છે અજ્ઞાન; અને તે દૂર થતાં પાપ ચાલ્યું જાય છે. પછી ઇચ્છા અટકે છે, સ્વાર્થપરાયણતાનો અંત આવે છે અને સર્વ દુઃખ અદૃશ્ય થાય છે. આ અજ્ઞાન ત્યારે જ બંધ થાય, જ્યારે હું એમ જાણું કે હું અને ઈશ્વર એક છીએ; બીજા શબ્દોમાં કહીએ તો આત્મા સાથે તમે એકતા અનુભવો, તમારી માનુષી મર્યાદાઓ સાથે નહીં. દેહ સાથેનો ‘અધ્યાસ છોડો’ એટલે બધું દુઃખ દૂર થશે. રોગમુક્ત થવાનું રહસ્ય આ છે. વિશ્વ એક સંમોહનનો કિસ્સો છે; આ મોહિનીમાંથી પોતાને પાછા ખેંચી લો અને દુઃખી થતા અટકો.

મુક્ત થવા માટે આપણે પાપમાંથી પુણ્યમાં જવાનું છે અને પછી બંનેનો ત્યાગ કરવાનો છે; તમોગુણને રજોગુણથી જીતવાનો છે અને બંનેને સત્ત્વમાં ડુબાડી દેવાના છે; પછી એ ત્રણે ગુણોથી પર થવાનું છે. એવી સ્થિતિએ પહોંચો કે જ્યાં તમારો શ્વાસ પોતે જ પ્રાર્થના બને.

જ્યારે જ્યારે તમે બીજા માણસના શબ્દોમાંથી કંઈ પણ શીખો (લાભ મેળવો) ત્યારે જરૂર જાણજો કે પૂર્વજન્મમાં તમને તે અનુભવ હતો, કારણ કે અનુભવ જ એકમાત્ર ઉપદેશક છે.

બધી જાતની સિદ્ધિઓની સાથે વધારે દુઃખ આવે છે, માટે ઇચ્છાઓનો નાશ કરો. કોઈ પણ ઇચ્છા કરવી તે ટાંડર ભમરીના દરમાં લાકડીનો ગોદો મારવા જેવું છે. વૈરાગ્યનો અર્થ છે કે ઇચ્છા માત્ર સોનાનો ઢોળ ચડાવેલા ઝેરના લાડુ છે તે જાણવું.

‘મન ઈશ્વર નથી.’ (શંકરાચાર્ય). ‘तत्त्वमसि, अहं ब्रह्मास्मि।’ (તે તું છો; હું બ્રહ્મ છું) મનુષ્યને જ્યારે આનો સાક્ષાત્કાર થાય છે ત્યારે; भिद्यते हृदयग्रंथिश्छिद्यन्ते सर्वसंशयाः। ‘તેના હૃદયની સઘળી ગાંઠો ભેદાઈ જાય છે, સર્વ સંશયોનો ઉચ્છેદ થાય છે.’ જ્યાં સુધી ભલેને ઈશ્વર પણ આપણી ‘ઉપર’ છે, ત્યાં સુધી નિર્ભયતા શક્ય નથી. આપણે ઈશ્વર ‘થવું’ જોઈએ. જે અલગ પડી ગયું છે, તે સર્વદા અલગ જ રહેશે. જો તમે ઈશ્વરથી જુદા જ હશો તો તમે કદી પણ તેની સાથે એક નહીં થઈ શકો; એથી ઊલટું જો તમે ઈશ્વરની સાથે એક હશો તો તમે કદી તેનાથી જુદા નહીં થઈ શકો. તમે જો ઈશ્વર સાથે સદ્ગુણથીયે જોડાયા હશો તો જ્યારે તે અટકી જશે ત્યારે વિખૂટાપણું આવશે. પરંતુ ઈશ્વર સાથેનો સંયોગ તો શાશ્વત છે; સદ્ગુણ માત્ર પડદો હટાવવામાં મદદ કરે છે. આપણે ‘આઝાદ’ (મુક્ત) છીએ; આપણે તેનો સાક્ષાત્કાર કરવો જોઈએ. ‘यमेवैष वृणुते।’ ‘જેને આત્મા પસંદ કરે છે’ નો અર્થ એ કે આપણે આત્મા છીએ અને આપણને પસંદ કરીએ છીએ.

દર્શન આપણા પોતાના પ્રયાસો ઉપર નિર્ભર છે કે તે કોઈ બાહ્ય વસ્તુ ઉપર આધાર રાખે છે? એ આપણા પોતા ઉપર આધાર રાખે છે. આપણો પ્રયાસ તો ધૂળને દૂર કરે છે; અરીસો બદલાતો નથી. જ્ઞાતા, જ્ઞાન કે જ્ઞેય ત્રણમાંથી કંઈ જ નથી. ‘જે જાણે છે કે તે પોતે જાણતો નથી, તે જ જાણે છે.’ જેની પાસે એકલો સિદ્ધાંત જ છે તે કંઈ જાણતો નથી.

આપણે બદ્ધ છીએ તે વિચાર એક ભ્રમ છે.

ધર્મ દુન્યવી નથી; ધર્મ એટલે ‘હૃદયનું શુદ્ધીકરણ;’ આ જગત ઉપર તેની અસર ગૌણ છે. મુક્તિ એ આત્માના સ્વભાવથી અવિભાજ્ય છે. તે સદા પવિત્ર, સદા પૂર્ણ, સદા અવિકારી છે. આ આત્માને તમે કદી પણ જાણી નહિ શકો. આપણે આત્મા વિશે કંઈ જ કહી શકીએ નહિ. સિવાય કે नेति नेति – (આ નહીં, આ નહીં).

‘જેને મન કે કલ્પનાની કોઈ પણ શક્તિથી આપણે કદી પણ હાંકી કાઢી ન શકીએ, તે બ્રહ્મ.’ (શંકરાચાર્ય)

* * *

વિશ્વ એ વિચાર છે અને વેદો એ વિચારના શબ્દો છે. આપણે આ સમગ્ર વિશ્વને સરજી શકીએ અને તેનો નાશ પણ કરી શકીએ. શબ્દોના રટણથી અદૃશ્ય રહેલો વિચાર જાગ્રત થાય છે અને પરિણામે એક દૃષ્ટ પરિણામ ઉત્પન્ન થાય છે. કર્મકાંડીઓના અમુક એક સંપ્રદાયનો આ દાવો છે. તેઓ એમ માને છે કે આપણામાંનો દરેક સ્રષ્ટા છે. શબ્દોનો ઉચ્ચાર કરો, તેને અનુરૂપ વિચાર ઉત્પન્ન થશે અને પરિણામ દૃષ્ટિગોચર થશે. ‘વિચાર એટલે શબ્દની શક્તિ છે; શબ્દ એ વિચારનું પ્રગટ રૂપ છે.’ એમ હિંદુ દાર્શનિકોનો એક સંપ્રદાય – મીમાંસકો કહે છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories