
(આજ સવારે સ્વામીજી હાથમાં ગીતા લઈને આવ્યા.)
‘આત્માઓના સ્વામી’ શ્રીકૃષ્ણ, ગુડાકેશ ‘નિદ્રાના સ્વામી’ (જેણે નિદ્રા ઉપર વિજય મેળવ્યો છે તે) અર્જુનને કહે છે. આ જગત ‘ધર્મક્ષેત્ર’ (રણભૂમિ) છે. પાંચ ભાઈઓ (ધર્મના પ્રતિનિધિઓ) બીજા સો ભાઈઓ (જે વસ્તુઓને આપણે ચાહીએ છીએ અને જેને માટે આપણે સામનો કરવો પડે છે.) તેની સાથે લડે છે; વીર શ્રેષ્ઠ ભાઈ અર્જુન (જાગ્રત આત્મા) સેનાપતિ છે. આપણે સઘળા ઇંદ્રિયોના ભોગની સાથે – જે વસ્તુઓ તરફ આપણને અતિશય આસક્તિ હોય છે તેમની સાથે – તેમને હણવા માટે લડવું પડે છે. આપણે એકલા ઊભા રહેવું પડે છે; આપણે બ્રહ્મ છીએ. બીજા બધા ભાવો આ ભાવમાં સમાવી દેવા જોઈએ.
શ્રીકૃષ્ણ સર્વ કંઈ કરતા, પરંતુ અનાસક્ત ભાવે કરતા; તેઓ આ સંસારમાં હતા પણ સંસારના ન હતા, ‘બધું કર્મ કરો પણ આસક્તિ વિના કરો; કર્મ ખાતર કર્મ કરો, તમારા ખાતર કદાપિ નહીં.’
* * *
નામ અને રૂપની બાબતમાં મુક્તિ કદાપિ સાચી ન હોઈ શકે; એ તો માત્ર માટી છે, જેમાંથી આપણે (ઘડાઓ) બન્યા છીએ; વળી તે મુક્ત નથી પણ સાન્ત છે, તેથી જે સાપેક્ષ હોય તેની મુક્તિ કદી સાચી ન હોય. એક ઘડો એમ કદીય ના કહી શકે કે ઘડા તરીકે ‘હું મુક્ત છું;’ માત્ર જ્યારે તે આકારના બધા ખ્યાલ ગુમાવે છે ત્યારે જ તે મુક્ત બને છે. આખું વિશ્વ વિવિધતા ભરેલો માત્ર આત્મા જ છે, વૈવિધ્યથી બનેલો એક જ સૂર છે; કવચિત્ તેમાં વિસંવાદ હોય છે, પણ પાછળથી સંવાદિતાને વધારે પૂર્ણ બનાવે છે. વિશ્વની સ્વરસંવાદિતામાં ત્રણ ભાવનાઓ અલગ પડી આવે છેઃ મુક્તિ, શક્તિ અને સમતા.
જો તમારી મુક્તિ બીજાને નુકસાન પહોંચાડે તો તમે મુક્ત નથી. તમારે બીજાઓને નુકસાન પહોંચાડવું ન જોઈએ.
મિલ્ટન કહે છેઃ ‘નિર્બળ થવું એટલે દુઃખી થવું.’ કરવું અને ભોગવવું એ બંને અભિન્ન રીતે જોડાયેલાં છે. (ઘણીવાર જે માણસ અતિશય હસે છે તે જ અતિશય દુઃખી થાય છે.) ‘કર્મ કરવામાં તમારો અધિકાર છે તેના ફળમાં નહીં.’ (कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। ભગવદ્ ગીતા ૨ઃ ૪૭)
* * *
ખરાબ વિચારો ભૌતિક દૃષ્ટિએ જોતાં, રોગનાં જંતુઓ છે.
આપણાં શરીર લોઢાના ગઠ્ઠા જેવાં છે; આપણો દરેક વિચાર તેના પર પડતા હથોડાના હળવા ઘા રૂપ છે, જેના વડે આપણે જેવું શરીર બનાવવા ઇચ્છીએ તેવું તે બનાવે છે.
જગતના સર્વ શુભ વિચારોના આપણે વારસદારો છીએ; જો આપણે તેના પ્રતિ પોતાની જાતને મુક્ત કરી દઈએ.
* * *
પુસ્તક આખુંય આપણી અંદર જ છે. મૂર્ખ! શું તને સંભળાતું નથી? તારા પોતાના હૃદયમાં જ દિવસ અને રાત પેલું સનાતન સંગીત ગૂંજી રહ્યું છે सच्चिदानन्द, सोऽहम्, सोऽहम्। ‘સત્ ચિત્ આનંદ; હું તે છું, હું તે છું.’
સર્વ જ્ઞાનનું ઝરણું કીડીમાં તેમ જ ઉચ્ચમાં ઉચ્ચ દેવતામાં, આપણા દરેકે દરેકમાં છે. ખરો ધર્મ એક જ છે, પણ આપણે તેનાં પ્રકારો, પ્રતીકો, દૃષ્ટાંતો અંગે ઝઘડીએ છીએ. જેમને શોધવું હોય તેમને માટે તો સ્વર્ગનું રાજ્ય અહીં જ છે. આપણે તો આપણને પોતાને ખોઈ બેઠા છીએ અને પછી એમ ધારીએ છીએ કે દુનિયા ખોવાઈ ગઈ છે.
પૂર્ણ શક્તિને દુનિયામાં કશી જ પ્રવૃત્તિ હોતી નથી. તે તો માત્ર છે જ – તે કાર્ય કરતી નથી.
જ્યારે સાચું પૂર્ણત્વ એક જ છે, ત્યારે સાપેક્ષ પૂર્ણત્વ અનેક હોવાં જ જોઈએ.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



