
અનંત અભિવ્યક્તિ અનેક વિભાગોમાં પોતાને વહેંચવા છતાંય અનંત જ રહે છે; પ્રત્યેક વિભાગ અનંત છે. (અનંત તો એક, અદ્વિતીય, સર્વદા અવિભાજ્ય અને અવ્યક્ત છે. ‘અનંત અભિવ્યક્તિ’ શબ્દો વાપરીને સ્વામીજી ‘દૃશ્ય અને અદૃશ્ય જગત’ કહેવા માગે છે. તે જો કે અસંખ્ય રૂપોનું બનેલું છે અને એ રૂપો જો કે પોતાના સ્વભાવે જ મર્યાદિત છે, છતાં સમગ્રરૂપે તો જગત સર્વદા અનંત છે. એટલું જ નહીં, તેનો એક વિભાગ પણ અનંત છે, કારણ તે દરેક વિભાગ તેની સાથે અવિભક્ત રીતે સંયુક્ત છે.)
વિકારી અને અવિકારી; વ્યક્ત અને અવ્યક્ત, બંને રૂપે બ્રહ્મ એક જ છે. જાણી લો કે જ્ઞાતા અને જ્ઞેય એક જ છે. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન – એક ત્રિપુટી જ આ વિશ્વ રૂપે અભિવ્યક્ત થાય છે. યોગી ધ્યાનમાં જે ઈશ્વરને જુએ છે તે પોતાના આત્માની શક્તિને લીધે જુએ છે.
આપણે જેને પ્રકૃતિ કે પ્રારબ્ધ કહીએ છીએ તે માત્ર ઈશ્વરની ઇચ્છા જ છે.
જ્યાં સુધી ભોગની ઇચ્છા હોય ત્યાં સુધી બંધન રહે જ છે. અપૂર્ણતા જ આનંદ જાણી શકે, કારણ કે ભોગ ભોગવવો એટલે ઇચ્છાપૂર્તિ. માનવ જીવાત્મા પ્રકૃતિને ભોગવે છે; પ્રકૃતિ, જીવ અને ઈશ્વરની અંદર રહેલું સત્ય બ્રહ્મ છે, પણ જ્યાં સુધી આપણે તેને બહાર ન લાવીએ ત્યાં સુધી તે (બ્રહ્મ) અદૃશ્ય રહે છે. જેવી રીતે ઘર્ષણથી આપણે અગ્નિને ઉત્પન્ન કરી શકીએ છીએ, તેમ ‘પ્રમથન’ અથવા ઘર્ષણથી તે બ્રહ્મને બહાર લાવી શકાય છે. શરીર એ નીચેનું (અરણી) કાષ્ઠ છે, ૐ એ ઉપરનું અણીદાર કાષ્ઠ છે અને ધ્યાન એ મંથનની (ઘસવાની) ક્રિયા છે. જ્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે બ્રહ્મના જ્ઞાનરૂપી જે પ્રકાશ છે તે આત્મામાં પ્રકાશી ઊઠશે. તપ દ્વારા તેને મેળવો; શરીરને ટટાર રાખીને ઇંદ્રિયોનો મનમાં લય કરો. ઇંદ્રિયોનાં કેન્દ્રો અંદર છે અને ઇંદ્રિયો બહાર છે; તેમને મનમાં ધકેલો અને ધારણા (એકાગ્રતા) વડે મનને ધ્યાનમાં સ્થિર કરો. દૂધમાં માખણની માફક બ્રહ્મ વિશ્વમાં વ્યાપી રહેલ છે, પણ (તાપરૂપી) ઘર્ષણ તેને એક સ્થળે જમાવે છે. જેમ મંથન કરવાથી દૂધમાંથી માખણ બહાર આવે છે તે જ પ્રમાણે ધ્યાન આત્મામાં બ્રહ્મનો સાક્ષાત્કાર લાવે છે.
સઘળી હિંદુ ફિલસૂફી ઘોષણા કરે છે કે એક છઠ્ઠી ઇંદ્રિય છે, જેને અતિચેતના કહેવામાં આવે છે અને તેની દ્વારા પ્રેરણા મળે છે.
* * *
વિશ્વ એ નિરંતર ગતિ છે અને ઘર્ષણ સઘળાનો આખરે અંત લાવશે. પછી આવશે અવ્યક્ત અવસ્થા અને ત્યાર પછી ફરીથી પાછો સર્વનો નવેસરથી આરંભ…
* * *
જ્યાં સુધી ‘ચર્માકાશ’ – શરીરરૂપી આકાશ, માણસની આસપાસ વીંટળાઈ રહ્યું છે, એટલે કે જ્યાં સુધી તે શરીર સાથે પોતાનું તાદાત્મ્ય અનુભવે છે, ત્યાં સુધી તે ઈશ્વરને જોઈ શકે નહીં.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



