
ભારતમાં તત્ત્વજ્ઞાનની છ વિચારપ્રણાલીઓને આસ્તિક દર્શનો લેખવામાં આવે છે, કારણ કે તેઓ વેદને પ્રમાણરૂપ માને છે.
વ્યાસનું તત્ત્વજ્ઞાન ‘બીજા બધા કરતાં’ ઉપનિષદોનું વધારે છે. તેમણે તે સૂત્રરૂપે એટલે કે કર્તા કે ક્રિયાપદ સિવાય બીજગણિત જેવી ટૂંકી સંજ્ઞાઓમાં લખ્યું છે. તેથી એ એવું દ્વિઅર્થી બની ગયું. તેમાંથી દ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈત અગર ‘વેદાંત ગર્જના’ ઉત્પન્ન થયાં; અને આ જુદી જુદી વિચારપદ્ધતિઓના ભાષ્યકારોએ પોતપોતાના તત્ત્વજ્ઞાનની પદ્ધતિને એ સૂત્રો અનુકૂળ બને એટલા માટે કોઈ કોઈવાર ‘ઈરાદાપૂર્વક જૂઠાં’ બનાવ્યાં.
ઉપનિષદોમાં કોઈ પણ માણસનાં કાર્યોનો ઇતિહાસ સાવ નજીવો છે; પરંતુ બીજાં લગભગ બધાં ધર્મશાસ્ત્રો મોટે ભાગે વ્યક્તિઓના ઇતિહાસો છે. વેદો લગભગ સર્વાંશે તત્ત્વજ્ઞાનનું જ નિરૂપણ કરે છે. તત્ત્વજ્ઞાન વિનાનો ધર્મ વહેમમાં પરિણમે છે; ધર્મ વિનાનું તત્ત્વજ્ઞાન એ સૂકો નિરીશ્વરવાદ બને છે.
વિશિષ્ટાદ્વૈત એટલે વિશેષતાઓવાળું અદ્વૈત. તેના પ્રચારક હતા શ્રી રામાનુજ. તેઓ કહે છેઃ ‘વેદરૂપી દૂધના સાગરમાંથી વ્યાસે મંથન કરીને માનવજાતને વધુ સારી રીતે સહાયભૂત થવા માટે આ તત્ત્વજ્ઞાનરૂપી નવનીત કાઢ્યું છે.’ વળી તેઓ કહે છેઃ ‘જગદીશ્વર બ્રહ્મમાં બધા શુભ ગુણો અને બધાં શુભ લક્ષણો રહેલાં છે. તે પુરુષશ્રેષ્ઠ છે.’ મધ્વાચાર્ય પૂરેપૂરા દ્વૈતવાદી છે. તેઓ તો કહે છે કે સ્ત્રીઓ પણ વેદનું અધ્યયન કરી શકે. તેઓ મુખ્યત્વે પુરાણોના આધાર ટાંકે છે. તેઓ કહે છે કે બ્રહ્મ એટલે વિષ્ણુ, શિવ તો નહીં જ, કારણ કે વિષ્ણુ સિવાય બીજા કોઈ દ્વારા મુક્તિ નથી.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



