(સ્વામીજી આજે સવારે ન્યૂ ટેસ્ટામેન્ટ લાવ્યા હતા; તેમણે જહોનના પ્રકરણ ઉપર ફરીથી વાર્તાલાપ કર્યો.)

ઈશુએ જે ‘શાન્તિદાતા’ મોકલવાનું વચન આપ્યું હતું તે પોતે છે તેવો હઝરત મહંમદ સાહેબનો દાવો હતો. ઈશુનો જન્મ અલૌકિક હતો તેવો દાવો કરવાનું તેમને અનાવશ્યક લાગ્યું હતું; બધા યુગોમાં અને બધા દેશોમાં આવા દાવાઓ કરવાનું સર્વસામાન્ય છે; દરેક મહાપુરુષે પોતે દેવપુત્ર હોવાનો દાવો કર્યો છે.

જાણવું તે કેવળ સાપેક્ષ છે. આપણે ઈશ્વર થઈ શકીએ પણ તેને ‘જાણી’ ન શકીએ. જ્ઞાન એ નીચેના દરજ્જાની સ્થિતિ છે. આદમનું પતન જ્યારે તેને ‘જ્ઞાન’ થયું ત્યારે થયું હતું; તે પહેલાં તે ઈશ્વર હતો, સત્ય હતો, પવિત્ર હતો. મોં તો આપણું પોતાનું જ હોવા છતાં આપણે માત્ર પ્રતિબિંબને જ જોઈ શકીએ છીએ, કદી સત્ય વસ્તુને – મૂળ વસ્તુને જોઈ શકતા નથી. આપણે પ્રેમસ્વરૂપ છીએ પણ જ્યારે આપણે તેનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે એક આભાસનો ઉપયોગ કરવો પડે છે; એ સાબિત થાય છે કે જડપદાર્થ માત્ર ૧ બહિર્ભૂત થયેલો વિચાર છે.

નિવૃત્તિ એટલે સંસારથી વિમુખ થવું. હિંદુ પુરાણો કહે છે કે જે આદિ૨ ચારનું સર્જન કરવામાં આવ્યું તેને હંસે (ઈશ્વરે પોતે) ચેતવણી આપી હતી કે અભિવૃત્તિ કેવળ ગૌણ છે; તેથી તેમણે સૃષ્ટિ રચી નહીં. આનો અર્થ છે કે વ્યક્તભાવ એટલે અધોગમન, કારણ કે આત્માને શબ્દથી જ વ્યક્ત કરી શકાય અને ૩ ‘શબ્દ નાશ કરે છે.’ છતાં મૂળ તત્ત્વને તો જડ તત્ત્વ વડે આચ્છાદિત થયા વિના છૂટકો નથી, જો કે આપણને ખબર ભલે હોય કે આગળ ઉપર આપણે આવરણમાં અટવાઈને સત્ વસ્તુને વીસરી જઈશું. પ્રત્યેક મહાન ઉપદેશક આ સત્ય સમજે છે અને તેથી આપણને મૂળ તત્ત્વ બતાવવા અને તે સમયને અનુરૂપ નવું આવરણ આપવા અવતારોની પરંપરાએ સતત આવવું જ પડે છે. મારા ગુરુદેવનો ઉપદેશ એ હતો કે ધર્મ એક છે; બધા પયગંબરો એક જ વાતનો ઉપદેશ કરે છે; પણ મૂળ તત્ત્વને તેઓ અમુક આકાર દ્વારા જ રજૂ કરી શકે, તેથી તેઓ મૂળ તત્ત્વને પુરાણા આકારમાંથી બહાર કાઢીને તેને નવે સ્વરૂપે આપણી આગળ રજૂ કરે છે. જ્યારે આપણને સારા કે ખરાબ શરીરની જરૂર નથી રહેતી – માત્ર ત્યારે જ આપણે બંધનમાંથી છૂટી જઈએ છીએ. સતત વિકાસ એ સતત બંધન છે; આકારનો વિનાશ વધુ ઇચ્છવા યોગ્ય છે. આપણે કોઈ પણ પ્રકારના દેહમાંથી, ‘દેવ – શરીર’માંથી પણ છૂટવું જ જોઈએ. ઈશ્વર જ એકમાત્ર સત્ વસ્તુ છે; તે બે ન હોઈ શકે. આત્મા એક જ છે અને તે હું છુંઃ सोऽहम्।

સત્કર્મોની માત્ર છટકબારી તરીકે કિંમત છે; તેઓ માત્ર તેના કર્તાને ફાયદો કરે છે, અન્યને કદી નહીં.

જ્ઞાન એટલે કેવળ વર્ગીકરણ. જ્યારે આપણે એ જ જાતની ઘણી વસ્તુઓ જોઈએ ત્યારે તેના સમૂહને અમુક ચોક્કસ નામ આપીએ છીએ અને સંતોષ પામીએ છીએ. આપણે ‘હકીકતો’ શોધી કાઢીએ છીએ, ‘શા માટે’ તે કદી શોધતા નથી. અંધકારના વિશાળ વર્તુળમાં આપણે ચક્કર લગાવીએ છીએ અને માનીએ છીએ કે આપણે કંઈક જાણીએ છીએ! આ દુનિયાની અંદર કોઈપણ ‘શા માટે’ એવા પ્રશ્નનો ઉત્તર આપી શકાય નહીં. તે માટે આપણે ઈશ્વર પાસે જવું જોઈએ. જ્ઞાતા કદી પણ વ્યક્ત કરી શકાય નહીં. જેમ મીઠાની કણી સાગરમાં નાખવાથી તરત જ સાગરમાં મળી જાય છે, તેના જેવું એ છે.

ભેદભાવ સૃષ્ટિ રચે છે. એક્તા અથવા સમતા એ ઈશ્વર છે. ભેદભાવથી પર જાઓ; ત્યારે તમે જીવન અને મૃત્યુને જીતી શકો, શાશ્વત સમત્વને પામો અને ઈશ્વરમાં રહો, ઈશ્વર બનો. જિંદગીના જોખમે પણ મુક્તિ પ્રાપ્ત કરો. જેમ ચોપડીનાં પાનાં હોય છે, તેમ બધી જ જિંદગીઓ આપણી છે. પણ આપણે પરિવર્તન રહિત સાક્ષી, આત્મા છીએ. જેમ એક ઊંબાડિયું ઝડપથી ગોળગોળ ઘુમાવવાથી આંખને એક વર્તુળનો ભાસ થાય છે, તેમ આત્મા ઉપર છાપ પડે છે. તમામ વ્યક્તિત્વોનું ઐક્ય આત્મા છે; અને તે શાંત છે, સનાતન છે, પરિવર્તનરહિત છે માટે તે ઈશ્વર છે, આત્મા છે. આત્મા જીવન નથી, પણ તેને જીવનનું રૂપ આપવામાં આવ્યું છે, તે સુખ નથી પણ તેને સુખરૂપે બતાવવામાં આવ્યો છે…

* * *

આજે દુનિયા ઈશ્વરને તજી રહી છે કારણ કે તે દુનિયા માટે પૂરતા પ્રમાણમાં કંઈ કરતો દેખાતો નથી. તેથી તેઓ કહે છેઃ ‘તે શા કામનો છે?’ શું આપણે ઈશ્વરને એકમાત્ર સુધરાઈ ખાતાના અધિકારી તરીકે જ જોઈશું?

આપણે તો માત્ર સર્વ ઇચ્છાઓનો, ધિક્કારનો, ભેદભાવનો ત્યાગ કરી શકીએ; અધમ અહંભાવને બેસાડી દઈએ – જાણે માનસિક આત્મઘાત કરીએ; શરીર અને મનને શુદ્ધ અને તંદુરસ્ત રાખીએ. પણ તે બધું માત્ર ઈશ્વર પ્રતિ જવાનાં મદદગાર સાધનો તરીકે; એ જ તેમનો સાચો ઉપયોગ છે. સત્યને કેવળ સત્યની ખાતર જ શોધો, સુખને શોધો નહીં. તે આવે તો ભલે આવે; પણ તે તમારે માટે પ્રેરક તત્ત્વ બનવું ન જોઈએ. ઈશ્વર સિવાય બીજો કોઈ હેતુ ન રાખો. નરકમાં થઈને આવવું પડે તો પણ સત્ય પ્રતિ જવાની હિંમત રાખો.

(૧. જ્ઞાતા પોતાને નહીં પણ પોતાના પ્રતિબિંબને જાણી શકે તેથી તે સર્વદા અજ્ઞેય છે. એટલે કે જ્ઞાતાથી જ્ઞાન ભિન્ન અને જુદું છે અને તેથી તે બહિર્ભૂત થયેલો વિચાર અથવા સ્વતંત્ર તત્ત્વ તરીકે જ્ઞાતાની બહાર આવેલો વિચાર છે. હવે જો જ્ઞાતા ચૈતન્યના નામથી ઓળખાય, તો જે તેનાથી અનોખું અને ભિન્ન છે તે જડ પદાર્થના નામથી જ ઓળખાવું જોઈએ. માટે સ્વામીજી કહે છે કે ‘જડ પદાર્થ માત્ર બહિર્ભૂત થયેલો વિચાર છે.’

૨. સૃષ્ટિમાં સૌથી પ્રથમ ઉત્પન્ન થયેલ ચાર ઋષિઓ, સનત, સનંદન, સનાતન અને સનત્કુમાર.

૩. બાઇબલ ૨, કોર. ૬.)

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories