
આ દિવસે બુધવાર, સ્વામી વિવેકાનંદે પોતાના શિષ્યોને થાઉઝન્ડ આઈલેન્ડ પાર્કમાં નિયમિત રીતે રોજ ઉપદેશ આપવાનો આરંભ કર્યો, એમ દર્શાવે છે. અમે બધા હજુ ત્યાં એકઠા પણ થયા ન હતા; પણ ગુરુદેવનું હૃદય હંમેશાં પોતાના કામમાં મગ્ન રહેતું હોવાથી, તેમણે જે ત્રણચાર શિષ્યો તેમની સાથે હતા તેમને તરત જ ઉપદેશ આપવો શરૂ કર્યો. આ પહેલે દિવસે સવારમાં તેઓ હાથમાં બાઇબલ લઈને આવ્યા અને જહોનનું પ્રકરણ ઉઘાડીને કહ્યુંઃ ‘તમે બધા ખ્રિસ્તીઓ હોવાથી હું ખ્રિસ્તી શાસ્ત્રોથી શરૂઆત કરું એ યોગ્ય છે.’
‘સૃષ્ટિના આરંભમાં ‘શબ્દ’ હતો અને ‘શબ્દ’ ઈશ્વરની સાથે હતો અને ‘શબ્દ’ જ ઈશ્વર હતો.’ હિંદુઓ ઈશ્વરની આ અભિવ્યક્તિને માયા કહે છે, કારણ કે તે ઈશ્વરની શક્તિ છે. બ્રહ્મ જ્યારે વિશ્વમાં પ્રતિબિંબિત થાય છે ત્યારે તેને આપણે પ્રકૃતિ કહીએ છીએ.‘શબ્દ’નાં બે પ્રકટ સ્વરૂપો છે; સામાન્ય સ્વરૂપ છે પ્રકૃતિ અને વિશેષ સ્વરૂપ છે ઈશ્વરના મહાન અવતારો જેવા કે શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત અને શ્રીરામકૃષ્ણ. બ્રહ્મનું વિશેષ સ્વરૂપ ઈશુ ખ્રિસ્ત જ્ઞાત અને જ્ઞેય છે, બ્રહ્મ પોતે અજ્ઞેય છે. આપણે બ્રહ્મને ન જાણી શકીએ, માત્ર અવતારને જ જાણી શકીએ. બ્રહ્મને ‘માનવતાના અંશ’ દ્વારા જ એટલે કે અવતાર પુરુષ ઈશુ દ્વારા જ આપણે જાણી શકીએ.
જહોનના પહેલા પાંચ શ્લોકોમાં ખ્રિસ્તી ધર્મનું સમગ્ર રહસ્ય આવી જાય છે; પ્રત્યેક શ્લોકમાં ગંભીરમાં ગંભીર તત્ત્વજ્ઞાન ભર્યું છે.
પૂર્ણ કદીયે અપૂર્ણ થતું નથી. અંધકારમાં તે છે, પણ અંધકાર તેના પર અસર કરી શકતો નથી. ઈશ્વરની દયા સૌ ઉપર વરસે છે પણ સૌની દુષ્ટતાથી ઈશ્વર અલિપ્ત રહે છે. આપણી આંખના કોઈ દોષને લીધે આપણે સૂર્યને વિકૃત સ્વરૂપે જોઈએ, છતાંય સૂર્યને તેની કંઈ અસર થતી નથી. ઓગણત્રીસમા શ્લોકમાં ‘જગતનું પાપ હરી લે છે’ તે વચનનો અર્થ એવો થાય છે કે ઈશુ આપણને પૂર્ણ થવાનો માર્ગ બતાવશે. ઈશ્વર માણસને તેનું પોતાનું ખરું સ્વરૂપ બતાવવા – આપણે પણ ઈશ્વર છીએ તે બતાવવા – ઈશુરૂપે થયા. દિવ્ય તત્ત્વ ઉપર આપણે માનુષી આવરણો છીએ, પણ દિવ્યત્વ તરીકે ઈશુ અને આપણે એક છીએ.
ત્રિમૂર્તિ સંપ્રદાયનો ઈશુ આપણાથી ઉચ્ચ કોટિએ મૂકવામાં આવેલ છે; યુનિટેરિયન (એક મૂર્તિ) સંપ્રદાયનો ઈશુ માત્ર એક નીતિમાન માણસ છે. બંનેમાંથી એક પણ આપણને સહાયભૂત બની શકે નહીં. જે ઈશુ ઈશ્વરનો અવતાર છે, જેને પોતાના દિવ્યત્વની વિસ્મૃતિ નથી, તે ઈશુ આપણને મદદ કરી શકે; તેમનામાં કશી અપૂર્ણતા નથી. આ અવતારો પોતાના દિવ્યત્વ અંગે સદાય સભાન હોય છે, જન્મથી જ તેનું જ્ઞાન તેઓને હોય છે. તેઓ નાટ્યપ્રયોગ પૂર્ણ થયા પછીના અભિનેતાઓ જેવા છે; પોતાનું કાર્ય પૂર્ણ થયા પછી તેઓ અન્યને આનંદ આપવા પાછા (રંગભૂમિ પર) આવે છે. આ મહાન આત્માઓ સંસારની કોઈપણ વસ્તુથી અલિપ્ત હોય છે. આપણને ઉપદેશ આપવા અલ્પ સમયને માટે તેઓ માનવસ્વરૂપ અને માનવની મર્યાદાઓ સ્વીકારે છે, પણ વસ્તુતઃ તેઓ કદી મર્યાદિત નથી હોતા; તેઓ સર્વદા મુક્ત હોય છે…
* * *
મંગલ એ સત્યની નજીક છે, પરંતુ તે સત્ય નથી. અશુભથી વ્યગ્ર ન બનવાનું શીખ્યા પછી આપણે શુભથી હરખાઈ ન જવાનું શીખવાનું છે. આપણે શોધી કાઢવું જોઈએ કે આપણે શુભ અને અશુભ બંનેથી પર છીએ; આપણે તે બંનેના પરસ્પરના સંબંધનો અભ્યાસ કરવો જોઈએ અને સમજી લેવું જોઈએ કે એ બંને આવશ્યક છે.
દ્વૈતનો વિચાર પ્રાચીન૧ ઈરાનીઓમાંથી આવ્યો. વાસ્તવિક રીતે શુભ અને અશુભ બંને એક જ છે૨ અને આપણા મનમાં જ છે. જ્યારે મન આત્મભાવને અનુભવે છે ત્યારે સારું કે ખરાબ તેને અસર કરી શકતું નથી. સંપૂર્ણ રીતે મુક્ત બનો; ત્યાર પછી બેમાંથી એક પણ મનને કંઈ અસર કરી શકશે નહીં અને આપણે મુક્તિ અને આનંદનો અનુભવ કરી શકીશું. અશુભ એ લોખંડની બેડી છે; શુભ એ સુવર્ણની બેડી છે; પણ બંને બેડીઓ જ છે. માટે મુક્ત બનો; અને હંમેશને માટે જાણી લો કે તમારા માટે કશું બંધન નથી. લોખંડની બેડીનો બંધ ઢીલો કરવા સોનાની બેડીને પકડો અને પછી બંનેને ફેંકી દો. અશુભનો કાંટો આપણા શરીરમાં છે; તે જ છોડમાંથી બીજો કાંટો લો અને તેનાથી પહેલો કાંટો કાઢો; પછી બંનેને ફેંકી દો અને મુક્ત બનો…
(૧. પારસીઓ જરથુષ્ટ્રના અનુયાયીઓ છે. જરથુષ્ટ્રે એમ શીખવેલું કે સમગ્ર સૃષ્ટિ બે પ્રાથમિક મૂળ તત્ત્વોમાંથી આવી છેઃ એકને ‘અહુરમજદ’ (શુભ તત્ત્વ) અને બીજાને ‘અહ્રિમાન’ (અશુભ તત્ત્વ) કહેવાય છે.
૨.કારણ બંને માયાની જ શૃંખલા અને કાર્યો છે.)
* * *
દુનિયામાં સદા દાતાની સ્થિતિ ગ્રહણ કરો. સર્વ કંઈ આપો પણ વળતરની આશા ન રાખો. પ્રેમ આપો, સહાય આપો, સેવા આપો; જે કંઈ નાની વસ્તુ તમારાથી બની શકે તે આપો. પણ તેમાંથી ‘વળતરની ભાવના બાદ રાખો.’ કશી શરતો ન મૂકો, તો તમારા ઉપર કોઈ શરત લાદવામાં આવશે નહીં. જેમ ઈશ્વર ઉદારતાથી આપણને આપે છે તેમ આપણે પણ ઉદારતાથી આપીએ.
ઈશ્વર એક જ દાતા છે; બાકીની દુનિયા આખી માત્ર દુકાનદાર છે. ઈશ્વરની હૂંડી મેળવો એટલે તે સર્વ જગ્યાએ સ્વીકારાશે જ.
‘ઈશ્વર એ અનિર્વચનીય, વાણીથી પર એવો પ્રેમનો સાગર છે,’ તે જાણી શકાય પણ તેની વ્યાખ્યા કરી ન શકાય.
* * *
આપણી યાતનાઓ અને સંઘર્ષોને લીધે દુનિયા આપણને એક ભયાનક સ્થાન લાગે છે. પણ જેમ બે ગલૂડિયાંને આપણે રમતાં અને બચકાં ભરતાં જોઈએ ત્યારે તેની જરા પણ પરવા કરતા નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે એ તો એક રમત છે અને અવારનવાર તેઓ પરસ્પર બચકાં ભરી લે તો પણ કંઈ ખરેખરું નુકસાન થવાનું નથી, તેમ જ આપણા બધા સંઘર્ષો ઈશ્વરની સૃષ્ટિમાં રમતમાત્ર છે. આ દુનિયા તેની રમત માટે છે અને ઈશ્વરને રમૂજ આપે છે; તેમાંનું કંઈ પણ ઈશ્વરને કદી પણ ગુસ્સે ન કરે.
* * *
‘માતા! જીવનસાગરમાં મારી નૌકા ડૂબે છે. માયાનો ઝંઝાવાત અને આસક્તિનું તોફાન પ્રત્યેક પળે વધે છે. હલેસાં મારવાવાળી મારી પાંચ (ઇંદ્રિયો) મૂર્ખ છે અને સુકાની (મન) નિર્બળ છે. હું દિશાશૂન્ય બન્યો છું, મારી નૌકા ડૂબે છે. હે મા! મને બચાવ!’
‘મા! તારો પ્રકાશ સંત કે પાપી માટે અટક્તો નથી; તે પ્રેમીને અને ખૂનીને બંનેને ચેતન આપે છે.’ સર્વના દ્વારા મા સદા વ્યક્ત થાય છે. પ્રકાશ જે વસ્તુને પ્રકાશિત કરે છે તેનાથી તે અશુદ્ધ બનતો નથી કે તેનાથી તેને લાભ પણ થતો નથી. પ્રકાશ સદા શુદ્ધ છે, સદા અવિકારી છે. પ્રત્યેક પ્રાણીની પાછળ શુદ્ધ સુંદર, સદા અવિચળ એવી ‘મા’ છે; ‘જીવમાત્રમાં જ્યોતિરૂપે પ્રગટેલી હે મા! અમે તને વંદન કરીએ છીએ.’ તે જ પ્રમાણે તે ભૂખ, દુઃખ, આનંદ અને ભવ્યતામાં પણ છે. ‘જ્યારે મધમાખી મધ ચૂસે છે ત્યારે તે રૂપે ઈશ્વર જ તે આરોગે છે.’ ઈશ્વર સર્વત્ર છે તે જાણીને સંતપુરુષો સ્તુતિ અને નિંદાનો ત્યાગ કરે છે. ‘જાણજો’ કે તમને કંઈ પણ વસ્તુ નુકસાન કરી શકે નહીં. કેવી રીતે કરે? શું તમે મુક્ત નથી? શું તમે આત્મા નથી? તે આપણા જીવનનું જીવન છે, આપણી શ્રવણેન્દ્રિયની શ્રવણશક્તિ છે, આપણાં ચક્ષુઓની દર્શનશક્તિ છે.
જાણે આપણી પાછળ પોલીસ પડી હોય તે રીતે આપણે દુનિયામાં દોડાદોડ નાસીએ છીએ અને તેની રમણીયતાની માત્ર ઉપલક ઝાંખી જ જોઈએ છીએ. આ બધા ભય જે આપણી પાછળ પડેલા છે, તે આપણા જડ દ્રવ્યમાં માનવાને કારણે છે. તેની પાછળ મન હોવાથી જ જડ પદાર્થનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આપણે જે જોઈએ છીએ તે પ્રકૃતિ (‘પ્રકૃતિ’ એટલે જડ દ્રવ્ય અને મન) માં થઈને નીકળતો ઈશ્વર છે.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



