હિંમતવાન બનો તેમજ અંતરથી સાચા બનો; પછી તમે નિષ્ઠાપૂર્વક ગમે તે માર્ગનું અવલંબન લો, તમે અખંડને ‘પ્રાપ્ત કરવાના જ.’ સાંકળની એક કડીને એક વાર હાથ કરો એટલે ક્રમે ક્રમે આખી સાંકળ હાથ આવવાની જ. વૃક્ષના મૂળમાં પાણી રેડો (એટલે કે ઈશ્વરને પ્રાપ્ત કરો) એટલે આખા વૃક્ષમાં પાણી પહોંચે; ઈશ્વરને પ્રાપ્ત કરવાથી આપણે બધું પ્રાપ્ત કરીએ છીએ.

એકાંગીપણું દુનિયાનું વિષ છે. જેમ જેમ વધુ બાજુઓનો તમે વિકાસ કરો તેમ તેમ વધારે આત્માઓ તમારા થશે અને સઘળા આત્મા દ્વારા – ભક્તના આત્મા દ્વારા અને જ્ઞાનીના આત્મા દ્વારા – તમે વિશ્વને જોઈ શકશો. તમારી પોતાની પ્રકૃતિ અંગે નિર્ણય કરી લો અને તેને વળગી રહો. પ્રારંભ કરનારને માટે નિષ્ઠા (એક જ આદર્શમાં શ્રદ્ધા) જ એક માર્ગ છે; પણ શ્રદ્ધા અને અંતરની સચ્ચાઈથી બધુંય પ્રાપ્ત થશે. દેવળો, સિદ્ધાંતો, વિધિઓ એ કુમળા છોડના રક્ષણ માટેની માત્ર વાડો છે; પણ આગળ જતાં વૃક્ષ વધી શકે એટલા માટે તે બધી તોડી નાખવી જોઈએ. એ જ પ્રમાણે વિવિધ ધર્મો, બાઇબલો, વેદો, વાદો વગેરે બધાં આધ્યાત્મિકતાના નાના રોપા માટે માત્ર કૂંડાં જેવાં છે; પણ રોપાએ તે કૂંડાંમાંથી ઊગીને બહાર નીકળવું જોઈએ. એક રીતે જોઈએ તો નિષ્ઠા એ છોડને કૂંડામાં મૂકવા જેવું એટલે કે પ્રયત્ન કરતા આત્માને તેના ઇષ્ટમાર્ગમાં રક્ષણ આપવા જેવું છે.

* * *

‘સમુદ્ર’ તરફ જુઓ, ‘તરંગ’ તરફ નહીં; કીડી અને દિવ્ય માનવ વચ્ચે કશો જ ભેદ ન જુઓ. જંતુમાત્ર નાઝરેથના ઈશુના ભાઈ છે. તેમાં એક મોટો છે અને બીજો નાનો છે એમ કેમ કહી શકો? પોતાના સ્થાનમાં પ્રત્યેક મહાન છે. આપણે જેટલા અહીં છીએ તેટલા જ સૂર્યમાં અને તારાઓમાં છીએ; આત્મા દેશ અને કાળથી પર છે અને સર્વત્ર છે. ઈશ્વરની સ્તુતિ કરી રહેલું દરેક વદન મારું વદન છે, ઈશ્વરને જોનાર દરેક આંખ મારી આંખ છે. આપણે ક્યાંય પણ બંધનમાં નથી; આપણે શરીર નથી, વિશ્વ જ આપણું શરીર છે. આપણે જાદુઈ લાકડી ફેરવીને આપણી મરજી મુજબ દૃશ્ય ઉત્પન્ન કરનારા જાદુગરો છીએ. તેની વિશાળ જાળમાં આપણે કરોળિયા છીએ અને જુદા જુદા તારો ઉપર તેની મરજી મુજબ જઈ શકીએ છીએ. અત્યારે તો કરોળિયો જાળમાં જે જગ્યાએ છે તે જગ્યાને જ જાણે છે; પણ સમય થતાં તેને આખીય જાળનું ભાન થશે. આપણે અત્યારે માત્ર જ્યાં આપણું શરીર છે તેને જ જાણીએ છીએ; એક જ મગજ આપણે વાપરી શકીએ છીએ. પણ જ્યારે આપણે સમાધિ અવસ્થામાં પહોંચીએ ત્યારે આપણે સઘળું જાણીએ છીએ અને સઘળાં મગજોનો ઉપયોગ કરી શકીએ છીએ. અત્યારે પણ જો આપણે ચેતનાને ‘ધક્કો મારી શકીએ’ તો તે સર્વથી પર જાય અને અતિચેતનમાં ક્રિયા કરે.

આપણે ‘હોવા’ માટે મહેનત કરીએ છીએ, બીજું કંઈ જ નહીં. ‘હું’ પણ નહીં; કેવળ શુદ્ધ સ્ફટિક, જે સઘળાનું પ્રતિબિંબ પાડે પરંતુ સર્વદા પોતે સમાન જ હોય. જ્યારે એ સ્થિતિએ પહોંચાય ત્યારે કંઈ કરવાનું રહેતું નથી; શરીરમાત્ર યંત્ર બની જાય છે; તેને પવિત્ર બનાવવાની કાળજી લેવી નથી પડતી; તે કદીય અપવિત્ર બની ન શકે.

તમે સમજી જાઓ કે તમે અનંત છો એટલે ભયનો નાશ થશે. સર્વદા કહોઃ ‘હું અને મારા પિતા (ઈશ્વર) એક જ છીએ.’

* * *

સમય આવતાં દ્રાક્ષના વેલા પરનાં દ્રાક્ષનાં ઝૂમખાંની પેઠે ઈશુઓની સંખ્યા વધશે. પછી ખેલ પૂરો થશે અને અદૃશ્ય થશે – જેવી રીતે એક કીટલીમાં ઊકળતું પાણી જેમ શરૂઆતમાં એક પરપોટો ઉત્પન્ન કરે છે, પછી બીજો અને પછી વધારે ને વધારે ઉત્પન્ન થઈને અંતે બધાય ઊભરાઈ જઈને વરાળરૂપે અદૃશ્ય થઈ જાય છે, તેમ અદૃશ્ય થઈ જશે. દુનિયાએ હજી સુધીમાં ઉત્પન્ન કરેલા બે સૌથી મહાન ‘પરપોટાઓ’ બુદ્ધ અને ઈશુ છે. મોઝીઝ નાનકડો પરપોટો હતો; તેથી વધુ ને વધુ મોટા પરપોટાઓ આવતા ગયા. જો કે અમુક વખતે બધા જ પરપોટા થઈ જવાના અને મુક્ત થઈ જવાના; પણ સૃષ્ટિ સદા નવીન હોઈને નવું પાણી લાવશે અને ફરી પાછી તે જ પ્રક્રિયા ચાલશે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories