(આજનું વાચન નારદના ભક્તિસૂત્રમાંથી કરાયું હતું.)

‘ઈશ્વર તરફના પરમ પ્રેમને ભક્તિ કહેવામાં આવે છે અને પ્રેમ જ ખરું અમરત્વ છે. તેને પામવાથી મનુષ્યને પૂર્ણ તૃપ્તિ મળે છે. કોઈપણ વસ્તુના નાશથી તે શોકમગ્ન થતો નથી અને કદીયે ઈર્ષ્યા કરતો નથી. તે જાણવાથી મનુષ્ય ઉન્મત્ત બને છે.’

મારા ગુરુ કહેતાઃ ‘આ જગત એક વિશાળ પાગલખાનું છે. ત્યાં કેટલાક માણસો પૈસા પાછળ, કેટલાક નામ અને યશ પાછળ અને માત્ર થોડાક જ ઈશ્વર પાછળ ઘેલા થયેલા છે. ઈશ્વર પાછળ ઘેલા થવાનું મને વધુ પસંદ છે. ઈશ્વર પારસમણિ છે; તે ક્ષણમાં આપણને સુવર્ણ બનાવી દે છે. આકાર રહે છે, પણ સ્વભાવ બદલાઈ જાય છે; માનવ આકાર રહે છે પરંતુ આપણે કદી કશી હાનિ કે પાપ કરી શક્તા નથી.’

‘ઈશ્વરનું ચિંતવન કરતાં કેટલાક રડે છે, કેટલાક ગાય છે, કેટલાક હસે છે, કેટલાક નાચે છે, કેટલાક અદ્ભુત વાતો કહે છે; પણ તે બધા ઈશ્વર સિવાય બીજા કોઈની વાત કરતા નથી.’

પયગમ્બરો ઉપદેશ આપે છે પણ ભગવાન બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત અને શ્રીરામકૃષ્ણ જેવા અવતારો આધ્યાત્મિકતા આપી શકે છે; તેમની એક જ કૃપાદૃષ્ટિ, એક જ સ્પર્શ બસ છે. ‘માથે હાથ મૂકવો’ એ શક્તિ પરમાત્માની છે. એ શક્તિની – ‘ગુરુશક્તિની પરંપરા’ ગુરુએ શિષ્યોમાં ખરેખર સંચારિત કરી હતી. એ સાચી દીક્ષા અનંત યુગોથી પરંપરા દ્વારા આપવામાં આવી છે.

‘ભક્તિ સર્વ એષણાઓનો વિરોધ કરતી હોવાને કારણે તેને કોઈ પણ ઇચ્છા પૂર્ણ કરવા માટે વાપરી શકાય નહીં.’ પ્રેમની નિશાની તરીકે નારદ આને ઓળખાવે છેઃ ‘જ્યારે સર્વ વિચારો, સર્વ શબ્દો અને સર્વ કર્મો ઈશ્વરને અર્પણ કરવામાં આવે અને ઈશ્વરની લેશમાત્ર વિસ્મૃતિ પણ આપણને અત્યંત દુઃખી બનાવે ત્યારે પ્રેમનો આરંભ થઈ ચૂક્યો લેખાય.’

‘પ્રેમનું આ સર્વશ્રેષ્ઠ સ્વરૂપ છે; કારણ કે સઘળા માનવીઓના પ્રેમમાં રહેલી બદલાની ઇચ્છા ત્યાં નથી.’

‘જે માણસ સામાજિક કે શાસ્ત્રીય રૂઢિઓથી પર ગયો છે તે સંન્યાસી છે. જ્યારે સમગ્ર આત્મા ઈશ્વરમાં પરોવાઈ જાય, જ્યારે આપણે માત્ર ઈશ્વરમાં જ શરણ લઈએ, ત્યારે જાણવું કે હવે આપણને આ પ્રેમ મળવાનો છે.’

શાસ્ત્રો વિના ચલાવી શકવા જેટલા તમે સમર્થ થાઓ ત્યાં સુધી તેમની આજ્ઞાનું પાલન કરો; ત્યાર પછી તેમનાથી પર જાઓ. ગ્રંથો સર્વસ્વ નથી. આધ્યાત્મિક સત્યની સાબિતી માત્ર તેના અનુભવમાં જ છે. પ્રત્યેકે તેની જાત – અનુભવથી ખાતરી કરવી જોઈએ. જે ગુરુ એમ કહે કે ‘મેં અનુભવ કર્યો છે પણ ‘તમે’ નહીં કરી શકો,’ તે ગુરુ વિશ્વાસ કરવા યોગ્ય નથી; પણ જે એમ કહે કે ‘તમે પણ જોઈ શકશો’ તે માત્ર વિશ્વાસ કરવા યોગ્ય છે. સર્વ સમયે, સર્વ દેશોમાં, બધાં શાસ્ત્રો, બધાં સત્યો, વેદો છે, કારણ કે આ સત્યોનું ‘દર્શન’ કરવાનું છે અને કોઈપણ તેનું દર્શન કરી શકે છે.

‘જ્યારે ક્ષિતિજ ઉપર પ્રેમનો સૂર્ય ઊગવા લાગે છે ત્યારે આપણને સર્વ કર્મો ઈશ્વરને અર્પણ કરવાની ઇચ્છા થાય છે; અને ત્યારે એક પળ માટે પણ જો આપણે તેને ભૂલીએ તો આપણને ઘણું જ દુઃખ થાય છે.’

ઈશ્વર અને તેના પ્રત્યેના તમારા પ્રેમની વચ્ચે કંઈ પણ આડે ન આવવા દો. તમે ઈશ્વરને ચાહો, ઈશ્વરને ચાહો, બસ, ઈશ્વરને જ ચાહો; દુનિયા જેમ ઠીક પડે તેમ ભલે કહ્યા કરે. પ્રેમના ત્રણ પ્રકાર છેઃ એક પ્રકાર માત્ર માગણી જ કરે છે, આપતો કંઈ નથી; બીજો પ્રકાર છે આપ-લેનો અને પ્રેમનો. ત્રીજો પ્રકાર છે બદલાના વિચાર વિનાનો – પ્રકાશ પ્રત્યેના પતંગિયાના પ્રેમ જેવો.

‘પ્રેમ કર્મથી ચઢિયાતો છે, યોગથી ચઢિયાતો છે, જ્ઞાનથી ચઢિયાતો છે.’

કર્મ એ કર્તા માટેનું માત્ર અભ્યાસરૂપ છે; એ બીજાનું કંઈ ભલું કરી શકે નહીં. આપણા પ્રશ્નનો આપણે જ નિકાલ કરવો જોઈએ; પયગમ્બરો માત્ર આપણને કેમ કામ કરવું તેટલું જ શીખવે છે. ‘જેવો તમે વિચાર કરો, તેવા તમે બનો,’ તેથી તમે જો તમારો ભાર ઈશુ ઉપર નાખી દો તો તમારે ‘તેનો’ વિચાર કરવો પડશે; આમ કરવાથી તમે તેના જેવા થશો; તમે તેને ‘ચાહવા’ લાગશો.

‘આત્યંતિક પ્રેમ અને સર્વોચ્ચ જ્ઞાન એક જ છે.’

પરંતુ ઈશ્વર વિશે સિદ્ધાંતો બાંધવાથી ચાલશે નહીં. આપણે તેને ચાહવો જોઈએ અને કર્મ કરવું જોઈએ. સંસાર અને સંસારની વસ્તુઓનો તમે ત્યાગ કરો, ખાસ કરીને ‘છોડ’ કુમળો હોય ત્યાં સુધી. દિવસ અને રાત ઈશ્વરનું જ ચિંતન કરો અને શક્ય હોય ત્યાં સુધી બીજી કોઈ બાબતનો વિચાર જ ન કરો. રોજના આવશ્યક વિચારો બધા ઈશ્વર દ્વારા વિચારી શકાય; તેને અર્પણ કરીને ખાઓ, તેને અર્પણ કરીને પીઓ, તેને શયન આપીને નિદ્રા કરો, બધામાં તેનું દર્શન કરો; બીજા પાસે ઈશ્વરની વાતો કરો. આ ઘણું જ કલ્યાણકારી છે.

ઈશ્વર અને તેનાં મહાનમાં મહાન સંતાનોની દયા મેળવો; ઈશ્વરને મેળવવાના આ બે મુખ્ય માર્ગો છે. આ પ્રકાશ પામેલાં સંતાનોનો સમાગમ મળવો બહુ જ મુશ્કેલ છે; તેમના સહવાસની માત્ર પાંચ મિનિટ પણ સમગ્ર જીવનને પલટી નાખશે; અને જો તે સંતસમાગમ મેળવવાની તમારી ખરેખરી ઇચ્છા હશે તો એકાદ તમારી પાસે આવશે જ. ઈશ્વરના પ્રેમીઓની હાજરી તે સ્થળને પવિત્ર બનાવે છે; ‘ઈશ્વરનાં સંતાનોનો એવો મહિમા છે.’ તેઓ ઈશ્વર સ્વરૂપ જ છે; જ્યારે તેઓ બોલે છે, ત્યારે તેમના શબ્દો શાસ્ત્રો બને છે; તેઓ જ્યાં રહેતા હોય તે સ્થળ તેમનાં આંદોલનોથી સભરભર્યું રહે છે; જેઓ એ સ્થળે જાય છે તેઓ પણ તેનો અનુભવ કરે છે અને પવિત્ર બનવાનું વલણ પણ મેળવે છે.

‘આવા ઈશ્વરપ્રેમીઓને માટે જન્મ, જ્ઞાતિ, વિદ્યા, સૌંદર્ય, સંપત્તિ કે ધંધો કશાનો ભેદભાવ નથી હોતો કારણ કે બધા જ ઈશ્વરના છે.’

કુસંગનો, ખાસ કરીને સાધનાના પ્રારંભમાં ત્યાગ કરો. સાંસારિક માણસોના સંગનો ત્યાગ કરો. એ તમારા મનને વ્યગ્ર બનાવશે. ‘તમામ ‘હું અને મારું’નો ત્યાગ કરો.’ આ વિશ્વમાં જેની પાસે કંઈ જ નથી તેની પાસે ઈશ્વર આવે છે. બધાં દુન્યવી સ્નેહનાં બંધનો કાપી નાખો. આળસ અને મારું શું થશે તેની સઘળી ચિંતાથી પર જાઓ. તમે જે કર્યું હોય તેનાં ફળ જોવા માટે પાછું વાળી ન જોશો; સઘળું ઈશ્વરને સમર્પણ કરો, આગળ વધો અને તેનો વિચાર ન કરો. સમગ્ર આત્મા એક સતત પ્રવાહધારામાં ઈશ્વર તરફ વહેવા દો; પૈસા, નામ કે કીર્તિની પાછળ પડવામાં સમય ન ગાળો; ઈશ્વર સિવાય કશાનું ચિંતન કરવામાં રોકાઓ નહીં. આમ થશે ત્યારે આપણા હૃદયમાં પ્રેમનો અનંત અદ્ભુત આનંદ પેદા થશે. સઘળી ઇચ્છાઓ કેવળ કાચના મણકાઓ સમી છે. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ પળે પળે વૃદ્ધિ પામે છે; સર્વદા તે નવો છે અને અનુભવથી જ જાણી શકાય છે. પ્રેમ સૌથી સહેલો છે; તેને કોઈ તર્કવાદની રાહ જોવાની હોતી નથી; તે સ્વાભાવિક છે. આપણને તેના પ્રદર્શનની જરૂર નથી; તેની સાબિતીની જરૂર નથી. તર્ક એટલે તો આપણા મન વડે કોઈ પણ વસ્તુને મર્યાદિત બનાવવી. આપણે જાળ નાખીએ, કંઈક પકડીએ અને પછી આપણે કહીએ કે અમે તે કરી બતાવ્યું. પણ આપણે ઈશ્વરને કદી કરતાં કદી પણ જાળમાં પકડી શકીશું નહીં.

પ્રેમ કશાની સાથે સંબંધિત હોવો ન જોઈએ. આપણે જ્યારે ખોટી રીતે પ્રેમ કરીએ છીએ ત્યારે પણ તે સાચા પ્રેમનો, સાચા આનંદનો પ્રકાર છે; ગમે તે રીતે આપણે તેનો ઉપયોગ કરીએ છતાં શક્તિ તેની તે જ છે. શાંતિ અને આનંદ જ તેનો મૂળ સ્વભાવ છે. એક ખૂની જ્યારે પોતાના બાળકને ચૂમે છે ત્યારે ક્ષણભરને માટે પ્રેમ સિવાય બાકી બધું જ તે વીસરી જાય છે. તમામ સ્વાર્થનો, અહંતાનો ત્યાગ કરો; ક્રોધ અને કામથી મુક્ત બની જાઓ. ‘બધું’ જ ઈશ્વરને સમર્પો. ‘હું નથી પણ તું જ છો. જૂનો માણસ સાવ નીકળી જ ગયો છે. માત્ર તું ઈશ્વર એક જ રહ્યો છે.’ ‘सोऽहम्’ ‘હું તે છું.’ કોઈના દોષ જુઓ નહીં. જો કાંઈ અનિષ્ટ બને તો સમજો કે ઈશ્વર તમારી સાથે ખેલી રહ્યો છે અને તેથી ખૂબ ખૂબ આનંદિત થાઓ.

પ્રેમ દેશ અને કાળથી પર છે; તે નિર્વિશેષ છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories