દરેક સુખ પછી દુઃખ આવે છે, પછી તે ઘણાં દૂર દૂર હોય કે પાસે પાસે. આત્મા જેમ વધારે વિકસેલો, તેમ સુખદુઃખ પણ એક પછી એક વધુ ઝડપથી આવે છે. ‘આપણે જે ઇચ્છીએ છીએ તે તો સુખ પણ નથી તેમ જ દુઃખ પણ નથી.’ આ બંને આપણને આપણું સાચું સ્વરૂપ ભુલાવી દે છે. બંને બેડીઓ છે – એક લોઢાની તો બીજી સોનાની છે. એ બંનેની પાછળ આત્મા રહેલો છે, જે નથી જાણતો સુખ કે નથી જાણતો દુઃખ, આ બધી ‘અવસ્થાઓ’ છે અને અવસ્થાઓ કાયમ બદલાયા જ કરે; પણ આત્માનો સ્વભાવ પરિવર્તનરહિત આનંદ અને શાંતિ છે. આપણે તે મેળવવા જવાનું નથી, તે આપણી પાસે છે જ; માત્ર કચરો ધોઈ નાખો એટલે તેને જોઈ શકશો.

આત્મા ઉપર નિર્ભર રહો; ત્યારે જ આપણે દુનિયાને સાચી રીતે ચાહી શકીશું. ઘણી ઊંચી, ઘણી જ ઉચ્ચ ભૂમિકાએ ઊભા રહો. આપણો વિશ્વાત્મભાવ જાણીને જગતનાં સઘળાં ‘દૃશ્યોને’ આપણે સંપૂર્ણ શાંતિથી જોવાં જોઈએ. તે માત્ર બાળકના ખેલ જેવું છે અને આપણે તે જાણીએ છીએ, તેથી આપણે તેનાથી ક્ષુબ્ધ ન બની જઈએ. જો મન સ્તુતિથી આનંદ પામશે તો તે નિંદાથી નારાજ પણ થશે, ઇંદ્રિયોના કે મનના પણ, બધા આનંદો ક્ષણજીવી છે; પણ આપણી અંદર એક નિરપેક્ષ આનંદ છે કે જે કશા પર પણ આધાર રાખતો નથી. તે સંપૂર્ણ રીતે મુક્ત છે, તે સુખદ છે. ‘જેટલા વિશેષ પ્રમાણમાં આપણું સુખ અંદરનું, તેટલા વિશેષ પ્રમાણમાં આપણે આધ્યાત્મિક હોઈશું.’ દુનિયા જેને ધર્મ કહે છે તે આત્માનો આનંદ છે.

આંતર જગત, ‘સાચું’ જગત, તે બાહ્ય જગતથી અનંતગણું મોટું છે; બાહ્ય જગત તો ખરા જગતનો માત્ર છાયા જેવો પ્રક્ષેપમાત્ર છે. જગત સત્ પણ નથી તેમ અસત્ પણ નથી; તે માત્ર સત્ની છાયા છે. કવિ કહે છેઃ ‘કલ્પના એટલે સત્યનો ઓપ ચડાવેલી છાયા.’

આપણે સૃષ્ટિમાં પ્રવેશીએ છીએ અને પછી તે આપણા માટે જીવંત બની જાય છે. વસ્તુઓ પોતાના સ્વરૂપે અચેતન છે; માત્ર આપણે તેને સચેતન બનાવીએ છીએ અને પછી મૂર્ખાઓની માફક આપણે પાછા વળીને કાં તો તેનાથી ડરીએ છીએ અને કાં તો તેનો ઉપભોગ કરીએ છીએ. પરંતુ પેલી માછીમારની સ્ત્રીઓ જેવા ન બનો. એ સ્ત્રીઓ બજારમાંથી ઘેર પાછી ફરતાં તોફાનમાં સપડાઈ એટલે એમણે એક ફૂલ વેચનારી માળણના ઘરમાં આશરો લીધો. જ્યાં હવા ફૂલોની સુવાસથી સુગંધિત બની રહેલી હતી એવા, બગીચાની બાજુના એક ઓરડામાં તેમને રાતવાસો આપવામાં આવ્યો. ઊંઘ લાવવા માટે તેમણે ઘણાં ફાંફાં માર્યાં પણ વ્યર્થ! છેવટે તેમાંની એકે સૂચન કર્યું કે માછલી ભરવાની ટોપલીઓ પાણીથી ભીની કરીને ઓશીકે રાખો. તરત પછી બધીને ગાઢ નિદ્રા આવી ગઈ!

જગત આપણે માટે માછલીની ટોપલી જેવું છે; આનંદ માટે આપણે તેના ઉપર આધાર રાખવો ન જોઈએ; જેઓ તેમ કરે છે તેઓ તામસિક છે. અગર બદ્ધ છે, ત્યાર પછી રાજસી અગર અહંકારી લોકો છે કે જેઓ નિરંતર ‘હું, હું’ કહીને વાત કરે છે; ક્યારેક તેઓ સારાં કામો કરે છે અને ધાર્મિક બને છે પણ ખરા. પરંતુ સહુથી શ્રેષ્ઠ છે સાત્ત્વિકો, અંતર્મુખ લોકો, જેઓ માત્ર આત્મામાં જ (મસ્ત) રહે છે. આ ત્રણે ગુણોઃ તમસ્, રજસ્ અને સત્ત્વ (પ્રમાદ, પ્રવૃત્તિ અને પ્રકાશ) દરેકમાં હોય છે અને જુદે જુદે સમયે જુદો જુદો ગુણ વર્ચસ્વ ધરાવે છે.

સૃષ્ટિ એ કોઈ વસ્તુની ‘રચના’ નથી, તે તો સમતા પુનઃ પ્રાપ્ત કરવાનો પ્રયાસ છે, જેવી રીતે બૂચના ઝીણા ઝીણા ટુકડાઓ પાણીની ડોલને તળિયે ડુબાડવામાં આવે અને પછી એક એક અગર સમૂહમાં સપાટી ઉપર ઊંચે આવવા ધસે તેમ. ‘જીવનની સાથે અનિષ્ટ રહેલું છે અને રહેલું હોવું જ જોઈએ.’ થોડુંક અનિષ્ટ જીવનને સ્વાદિષ્ટ બનાવે છે. દુનિયામાં જે થોડીક દુષ્ટતા છે તે ઘણું સારું છે, કારણ કે જ્યારે સમતા પ્રાપ્ત થશે ત્યારે દુનિયાનો અંત આવશે; કારણ કે એક્તા અને વિનાશ એક જ છે. જ્યારે આ જગત જશે ત્યારે તેની સાથે સારું અને ખરાબ પણ જશે; પણ જ્યારે આપણે આ જગતથી પર જઈ શકીએ ત્યારે આપણે સારા અને ખરાબ બંનેથી પર જઈએ છીએ અને આનંદ પ્રાપ્ત કરીએ છીએ.

દુઃખ વિના આનંદ મેળવવો કે ખરાબ વિના સારું પ્રાપ્ત કરવું તે કદીય સંભવતું નથી; કારણ કે જીવન પોતે જ પેલી ગુમાવેલી સમતુલા છે. આપણે જે માગીએ છીએ તે મુક્તિ છે, જીવન નહીં, આનંદ કે પ્રેયસ્ નહીં. સૃષ્ટિ અનંત છે, આદિ અને અંત વિનાની છે, એક અનંત સરોવરમાં એક નિરંતર ગતિમાન લહરી સમી છે. જ્યાં હજી પહોંચાયું નથી અને જ્યાં હજી સમતુલા પ્રાપ્ત થઈ ગયેલી છે એવાં ઊંડાણો પણ છે; પણ લહરી તો સર્વદા આગળ વધ્યે જ જાય છે, સમતુલા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન તો હંમેશાં ચાલ્યા જ કરે છે. જીવન અને મરણ તે એક જ હકીકતનાં બે જુદાં જુદાં નામો માત્ર છે, એક જ સિક્કાની બે બાજુઓ છે. બંને માયા છે – એકી વખતે જીવવાની ગડમથલ કરવાની અને ક્ષણ પછી મરી જવાની અનિર્વચનીય સ્થિતિ છે. આ બધાંથી પર છે સાચું સ્વરૂપ, આત્મા. જ્યારે આપણે ઈશ્વરને ઓળખીએ છીએ, ત્યારે ખરેખર તો તે આત્મા છે; તેને આપણે આપણાથી અલગ પાડ્યો છે અને આપણાથી બહાર હોય તેમ આપણે તેને પૂજીએ છીએ; પણ બધો વખત તે આપણો સાચો આત્મા – એક અને એકમાત્ર ઈશ્વર છે.

સમતા મેળવવા માટે આપણે તમસ્નો રજસ્ વડે પરાભવ કરવો જોઈએ, પછી રજસ્ને સત્ત્વથી જીતવો જોઈએ; તે સત્ત્વ એટલે શાંતિમય સુંદર સ્થિતિ કે જે બીજું કંઈ જ ન રહે ત્યાં સુધી વધતી અને વધતી જાય. બંધનનો ત્યાગ કરો. ઈશ્વરના પુત્ર બનો, મુક્ત બનો; અને પછી જેમ ઈશુએ જોયો તેમ તમે ‘(ઈશ્વર રૂપ) પિતાને જોઈ શકશો.’ અનંત શક્તિ એટલે ધર્મ અને ઈશ્વર. નિર્બળતા અને દાસત્વથી દૂર રહો. ‘જો’ તમે મુક્ત હો તો જ તમે આત્મા છો; ‘જો’ તમે મુક્ત હો તો જ તમારે માટે અમૃતત્વ છે. ‘જો’ તે મુક્ત હોય, તો જ ઈશ્વર છે…

* * *

મારે માટે દુનિયા છે, નહીં કે દુનિયાને માટે હું. ઇષ્ટ અને અનિષ્ટ એ આપણા દાસ છે, આપણે તેમના દાસ નથી, પોતે જ્યાં હોય ત્યાં પડ્યા રહેવાનો (વિકાસ નહીં પામવાનો) સ્વભાવ પશુનો છે; સારું શોધવું અને ખરાબ તજવું એ સ્વભાવ મનુષ્યનો છે; બેમાંથી એકે ન શોધતાં માત્ર નિરંતર આનંદમાં રહેવું, એ ઈશ્વરનો સ્વભાવ છે. આપણે ઈશ્વર બનીએ! હૃદયને સાગર જેવું બનાવો; દુનિયાની ક્ષુદ્ર વસ્તુઓથી પર થાઓ; અનિષ્ટ દેખીને પણ આનંદથી ઘેલા બનો. જગતને એક ચિત્ર તરીકે જુઓ અને પછી તમે કોઈ વસ્તુથી લિપ્ત થતા નથી એમ જાણીને તેનું સૌંદર્ય ભોગવો. કીચડના ખાબોચિયામાંથી કાચના મણકા છોકરાંને મળે, તેના જેવી આ દુનિયામાંની સારી ચીજો છે. તેની પ્રત્યે શાંત ઉપેક્ષાથી જુઓ. ઇષ્ટ અને અનિષ્ટ બંનેને સમાન રીતે જુઓ – બંને કેવળ ‘ઈશ્વરની લીલા’ છે. તેનો આનંદ લૂંટો.

* * *

મારા ગુરુ કહેતાઃ ‘બધું જ નારાયણ છે; પણ વાઘરૂપી નારાયણથી દૂર રહેવું. બધું પાણી પાણી જ છે, પણ ગંદું પાણી આપણે પીવા માટે વાપરતા નથી.’

આખું ગગન ઈશ્વરનું ધૂપદાન છે અને સૂર્ય તથા ચંદ્ર તેના દીવા છે. બીજા ક્યા મંદિરની આવશ્યકતા રહે છે? ‘બધાં ચક્ષુઓ તારાં છે પણ તારે એક પણ ચક્ષુ નથી. બધા હાથો તારા છે છતાંય તારે એક પણ હાથ નથી.’

કોઈ ચીજની પાછળ ન દોડો કે કોઈનો ત્યાગ ન કરો; જે આવે તે સ્વીકારો. કોઈ પણ વસ્તુની અસર નીચે ન આવવું તેનું નામ મુક્તિ. માત્ર સહન જ કરો એમ નહીં; અનાસક્ત બનો. પેલા બળદની વાત યાદ રાખો. કોઈ એક બળદના શિંગડા ઉપર એક મચ્છર ઘણા વખત સુધી બેસી રહ્યો. પછી તેનો અંતરાત્મા તેને ડંખવા લાગ્યો એટલે તેણે કહ્યુંઃ ‘ભાઈ બળદ! અહીં હું ઘણા સમયથી બેઠો હતો; કદાચ તને તકલીફ પડી હશે. હું દિલગીર છું. હું ચાલ્યો જઈશ.’ પણ બળદે જવાબ આપ્યોઃ નહીં નહીં, તારા આખા કુટુંબને લઈ આવ અને મારાં શિંગડાં પર રહે. તું મને શું કરી શકવાનો હતો?’

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories