
ગમે તે પળે તમે પલટાવા તૈયાર ન હો તો તમે સત્યને કદી પણ જોઈ શકશો નહીં; પણ તમારે આગ્રહ રાખીને સત્યની શોધમાં દૃઢ રહેવું જોઈએ…
ભારતના અતિ પ્રાચીન ‘ચાર્વાક’ સંપ્રદાયના લોકો કટ્ટરવાદી હતા. તેઓ અત્યારે તો મરી પરવાર્યા છે અને તેમના ઘણા ખરા ગ્રંથો ગુમ થઈ ગયા છે. તેઓ એમ કહેતા કે આત્મા એ શરીર અને તેનાં બળોનું પરિણામ હોઈ શરીરના નાશ સાથે જ તે નાશ પામે છે અને શરીરની પછીના તેના અસ્તિત્વનો કોઈ પુરાવો નથી. ઇંદ્રિયો દ્વારા મળતું જ્ઞાન જ તેઓ સ્વીકારતા; અનુમાન – પ્રમાણોનો તેઓ અસ્વીકાર કરતા.
* * *
દિવ્યત્વ અને માનવત્વ એક જ હોય તેનું નામ સમાધિ અથવા ‘સમત્વ મેળવવું.’…
* * *
જડવાદ કહે છે કે મુક્તિનો અવાજ એ ભ્રમ છે; વિજ્ઞાનવાદ કહે છે કે જે અવાજ બંધનનો પોકાર પાડે છે તે ભ્રમ છે. વેદાંત કહે છે કે તમે એકી સાથે મુક્ત છો અને મુક્ત નથી; ભૌતિક જગતની ભૂમિકાએ તમે કદી મુક્ત નથી; પરંતુ આધ્યાત્મિક ભૂમિકાએ સદૈવ મુક્ત છો.
મુક્તિ અને બંધન બંનેથી પર થાઓ.
આપણે શિવસ્વરૂપ છીએ; આપણે ઇંદ્રિયોથી પર અવિનાશી જ્ઞાનસ્વરૂપ છીએ.
દરેકની પાછળ અનંત શક્તિ છે; જગન્માતાને પ્રાર્થના કરો, એટલે તે તમને દર્શન દેશે.
‘હે માતા વાગ્વાદિની! તું સ્વયંભૂ છે; વાણીરૂપે મારા હોઠ ઉપર તું પ્રગટ થા!’ (હિંદુ મંત્ર).
‘વજ્ર ગર્જના જેવો જેનો શબ્દ છે તેવી હે માતા! તું મારામાં પ્રગટ થા! હે કાલી! હે સનાતન કાલશક્તિ! હે અપ્રતિહત શક્તિ! હે શક્તિ!’
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



