
આપણે જે બધું જાણીએ છીએ તે એક મિશ્રણ છે અને સઘળું ઇંદ્રિયજ્ઞાન પૃથક્કરણથી આવે છે. મન અમિશ્ર, એક અથવા સ્વતંત્ર છે તેમ માનવું એ દ્વૈતવાદ છે. ગ્રંથોના અધ્યયનથી તત્ત્વજ્ઞાન નથી મેળવાતું; જેમ તમે વધારે પુસ્તકોનો અભ્યાસ કરો તેમ તમારા મનમાં વધારે ગૂંચવણો ઊભી થાય. વિચાર વિનાના તત્ત્વજ્ઞાનીઓનો ખ્યાલ એવો હતો કે મન એક અમિશ્ર વસ્તુ છે અને તેથી તેઓ સ્વતંત્ર ઇચ્છાશક્તિની માન્યતામાં દોરાયા. માનસશાસ્ત્ર એટલે મનનું પૃથક્કરણશાસ્ત્ર એમ બતાવે છે કે મન એક મિશ્ર વસ્તુ છે અને દરેક મિશ્રણ કોઈક બહારની શક્તિથી ટકી રહેલું હોવું જોઈએ. તેથી ઇચ્છાશક્તિ બાહ્ય બળોના સંયોગથી બદ્ધ છે. જ્યાં સુધી માણસ ભૂખ્યો ન થાય ત્યાં સુધી તે ખાવા માટેની ઇચ્છા પણ નહીં કરે. ઇચ્છાશક્તિ વાસનાને આધીન છે. પણ આપણે મુક્ત છીએ; દરેકને તેમ લાગે છે.
અજ્ઞેયવાદી કહે છે કે આ સ્વાતંત્ર્યનો વિચાર ભ્રમણા છે. તો પછી જગતને કેમ સિદ્ધ કરવું? તેનું એકમાત્ર પ્રમાણ એ છે કે આપણે તેને જોઈએ છીએ અને અનુભવીએ છીએ; એટલે તેટલું જ આપણે બધા સ્વાતંત્ર્યને અનુભવીએ છીએ. જો તમામ મતોનો સાર એવો હોય કે આ દુનિયાનું અસ્તિત્વ માનવું, તો પછી તે સ્વાતંત્ર્યને પણ માને છે તેમ સ્વીકારવું ઘટે. પણ ઇચ્છાશક્તિને – તે જેવી છે તેવીને સ્વાતંત્ર્ય નથી. મનુષ્યના સ્વાતંત્ર્યમાં સ્વભાવસિદ્ધ માન્યતા બધા તર્કનો પાયો છે. ઇચ્છાશક્તિ બદ્ધ થયા પહેલાં જેવી હતી તેવી તે સ્વતંત્ર છે. ઇચ્છાશક્તિની સ્વતંત્રતાનો વિચાર પોતે જ હરેક પળે બંધન સામેનો મનુષ્યનો પુરુષાર્થ બતાવે છે. સ્વતંત્ર એક જ હોઈ શકે કે જે અવિકારી, અનંત અને અમર્યાદિત હોય. મનુષ્યની મુક્તિ તે અત્યારે તો એક સ્મૃતિમાત્ર છે, મુક્તિ માટેનો પ્રયાસ માત્ર છે.
વિશ્વમાં દરેક વસ્તુ એક વર્તુળ પૂરું કરવા, પોતાના મૂળમાં જવા, પોતાના એકમાત્ર ખરા ઉદ્ભવસ્થાન આત્મામાં પાછી જવા પ્રયાસ કરે છે. સુખની શોધ એ સમતાને શોધવાનો, સમતુલાને પાછી પ્રાપ્ત કરવાનો પ્રયાસ છે. નીતિ એ બદ્ધ ઇચ્છાશક્તિનો મુક્ત થવાનો પ્રયાસ છે અને આપણે પૂર્ણતામાંથી આવ્યા છીએ તેનો પુરાવો છે…
* * *
કર્તવ્યનો ખ્યાલ એ ખુદ આત્માને પ્રજાળતો દુઃખનો મધ્યાહ્ન સૂર્ય છે. ‘હે રાજા! આ અમૃતનું એક ટીપું પી અને સુખી થા.’ (‘હું કર્તા નથી.’ એ અમૃત છે.)
પ્રતિક્રિયા વિનાનું કર્મ કરો; કર્મ આનંદદાયક છે, પ્રતિક્રિયા એ જ સઘળું દુઃખ છે. બાળક અગ્નિમાં હાથ નાખે છે તે તેનો આનંદ છે, પણ જ્યારે તેની દેહરચના પ્રતિક્રિયા કરે છે ત્યારે બળતરાનું દુઃખ થાય છે. જો આપણે તેવી પ્રતિક્રિયા રોકી શકીએ તો પછી આપણે ડરવા જેવું કંઈ જ નથી. મગજને કાબૂમાં રાખો; તેને જૂની નોંધ વાંચવા નહીં દો; સાક્ષી બનો અને પ્રતિક્રિયા ન કરો; આ રીતે જ તમે સુખી થઈ શકશો. આપણી જાણ માંહેની સુખીમાં સુખી ક્ષણો તે જ હોય છે કે જ્યારે આપણે આપણી જાતને સદંતર વીસરી જઈએ છીએ. તમારી પોતાની સ્વતંત્ર ઇચ્છાથી કર્મ કરો, ફરજ તરીકે નહીં; આપણે કશી જ ફરજ નથી. આ દુનિયા એક અખાડો છે, જેમાં આપણે રમીએ છીએ; આપણું જીવન એક શાશ્વત તહેવાર છે.
જીવનનું સઘળું રહસ્ય નિર્ભય બનવામાં છે. તમારું શું થશે તેનો ભય રાખો નહીં; કોઈના પર આધાર ન રાખશો. જે ક્ષણે તમે તમામ મદદની ના પાડશો, માત્ર તે ક્ષણે જ તમે મુક્ત થશો. પૂરેપૂરી ભરેલી વાદળી પછી વધારે કશું ચૂસી શકતી નથી.
* * *
સ્વરક્ષણ માટે પણ લડવું તે ખોટું છે, જો કે સામા પરના આક્રમણ કરતાં તે વધારે ઊંચું છે. ‘ન્યાયી’ પુણ્યપ્રકોપ જેવી કોઈ વસ્તુ જ નથી, કેમ કે બધી વસ્તુઓમાં રહેલી સમાનતા ન અનુભવવામાંથી તે આવે છે.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



