
(કઠોપનિષદ)
જેણે આત્માનું સત્ય મેળવ્યું હોય તે સિવાય અન્ય કોઈ પાસેથી તે ન શીખશો. બીજા બધા પાસે માત્ર વાતો હોય છે. સાક્ષાત્કાર પુણ્ય પાપથી પર છે, ભૂત-ભવિષ્યથી પર છે. બધાં વિરોધી દ્વંદ્વોથી પર છે. ‘નિષ્કલંક સાધક આત્માને જુએ છે અને તેના આત્મામાં સનાતન શાંતિ આવે છે.’ વાતો કરવી, દલીલો કરવી, પુસ્તકો વાંચવાં, બુદ્ધિનાં ઉચ્ચમાં ઉચ્ચ ઉડ્ડયનો અને વેદો પોતે પણઃ આ બધામાંથી કોઈ આત્માનું જ્ઞાન આપી શકે નહિ.
આપણામાં પરમાત્મા અને જીવાત્મા બે છે. ઋષિઓ જાણે છે કે જીવાત્મા માત્ર છાયા છે અને પરમાત્મા જ ખરો સૂર્ય છે. જ્યાં સુધી મનને ઇંદ્રિયો સાથે જોડીએ નહિ ત્યાં સુધી આંખ, નાક, કાન વગેરે દ્વારા આપણને કશાં જ સંવેદનો મળે નહિ. મનની શક્તિ બહારની ઇંદ્રિયોને ઉપયોગમાં લે છે. ઇંદ્રિયોને બહાર નહિ જવા દો તો પછી તમે શરીરને છોડી શકશો અને બહારની દુનિયાને પણ છોડી શકશો.
જે આ ખુદ क्ष ને આપણે અહીં બહારની દુનિયા તરીકે જોઈએ છીએ તેને જ મૃત્યુ પામેલાઓ પોતપોતાની માનસિક સ્થિતિ પ્રમાણે સ્વર્ગ કે નરક તરીકે દેખે છે. ઈહલોક અને પરલોક એ બંને સ્વપ્નાં છે; પરલોકનું સ્વપ્ન ઈહલોક પર ઘડાયેલું છે. બંનેને છોડી દો; સઘળું સર્વવ્યાપક છે, સઘળું વર્તમાન છે. પ્રકૃતિ, શરીર અને મન મૃત્યુ પામે છે, આપણે નહિ. આપણે કદી પણ જતા નથી કે આવતા નથી. મનુષ્યરૂપે વિવેકાનંદ પ્રકૃતિની અંદર છે, જન્મે છે અને મરે છે; પણ જે આ આત્માને આપણે વિવેકાનંદ તરીકે જોઈએ છીએ તે કદી પણ જન્મતો નથી અને કદી પણ મરતો નથી; તે શાશ્વત અવિકારી સત્ વસ્તુ છે.
ચાહે તો આપણે તેનાં પાંચ ઇંદ્રિયોમાં વિભાગ કરીએ કે એક જ રૂપે જોઈએ, પણ મનની શક્તિ એક જ છે. અંધ મનુષ્ય કહે છેઃ ‘દરેક વસ્તુનો એક વિશિષ્ટ પડઘો હોય છે, તેથી હું તાળી પાડું એટલે તે ચીજનો પડઘો મારી પાસે આવે છે અને મારી આજુબાજુ શું છે તે બધુંય હું કહી શકું છું.’ તેથી ધુમ્મસમાં આંધળો માણસ દેખતા મનુષ્યને સહીસલામત દોરી શકે છે; ધુમ્મસ કે અંધારું તેને માટે કોઈ તફાવત પાડતાં નથી.
મનને સંયમમાં રાખો, ઇંદ્રિયોને તેના વિષયોથી અલગ પાડી દો, એટલે તમે યોગી બનશો. બીજું બધું ત્યાર પછી આવશે. સાંભળવાનું, જોવાનું, સૂંઘવાનું, ચાખવાનું, બધું અટકાવો; બહારની ઇંદ્રિયોમાંથી મનની શક્તિ ખેંચી લો. આમ તો જ્યારે તમારું મન કશામાં એકદમ તલ્લીન થઈ ગયું હોય ત્યારે અજાણપણે તમે નિરંતર તેમ કર્યા જ કરો છો, તે જ પ્રમાણે તમે ઈરાદાપૂર્વક પણ તેમ કરવાનું શીખી શકો છો. મન પોતાને ઠીક પડે ત્યાં ઇંદ્રિયોને લગાડી શકે છે. શરીર દ્વારા કર્મ કરવાની આપણને ફરજ પડે છે, એ મુખ્ય વહેમને દૂર કરો; આપણને તેમ નથી કરવું પડતું. તમે તમારા ઓરડામાં એકાંતમાં બેસો અને તમારા પોતાના આત્મામાંથી ઉપનિષદો બહાર કાઢો. દુનિયામાં કદી બન્યો ન હોય કે ભવિષ્યમાં બનાવવાનો હોય એવો મહાનમાં મહાન ગ્રંથ તમે જ છો; જે કાંઈ છે તે બધાના અનંત ભંડાર તમે છો. જ્યાં સુધી અંદરનો ગુરુ પ્રગટે નહીં ત્યાં સુધી બહારનો બધો ઉપદેશ વ્યર્થ છે. જો તેની કંઈ પણ કિંમત કરાવવી હોય તો હૃદયના ગ્રંથને ઉઘાડવા જોઈએ.
ઇચ્છાશક્તિ જ પેલો ‘શાંત ઝીણો અવાજ’ છે; ‘આ કરો’ અને ‘આ ન કરો’ એમ કહેનારો ખરો શાસક તે જ છે. જે બધું આપણને બંધનકારક છે તે તેણે જ કર્યું છે. જ્ઞાન વગરની ઇચ્છાશક્તિ આપણને બંધનમાં નાખે છે, જ્ઞાનપૂર્ણ ઇચ્છાશક્તિ આપણને મુક્ત કરી શકે. ઇચ્છાશક્તિને હજારો રીતે મજબૂત બનાવી શકાય. દરેક માર્ગ એક પ્રકારનો યોગ છે; પણ પદ્ધતિસરનો યોગ પરિણામે વધારે ઝડપથી સિદ્ધ કરી શકે છે. ભક્તિયોગ, કર્મયોગ, રાજયોગ અને જ્ઞાનયોગ કર્મક્ષેત્રમાં વધુ અસરકારક રીતે પહોંચી વળી શકે છે. તમારી બધી શક્તિઓ, બધું તત્ત્વજ્ઞાન, કર્મ, પ્રાર્થના, ધ્યાન વગેરે તમામ એકઠું કરો, બધા સઢો ફરકાવો, પૂરેપૂરી યંત્રશક્તિ ઉપયોગમાં લો અને ધ્યેયને પહોંચો. જેટલું વહેલું કરો તેટલું વધારે સારું…
* * *
બેપ્ટિઝમ (Baptism) ખ્રિસ્તીઓમાં કરાતી જળસંસ્કારની બાહ્ય શુદ્ધિની ક્રિયા, તે આંતરશુદ્ધિની સૂચન ક્રિયા છે. તેનું મૂળ બૌદ્ધ ધર્મમાં છે.
યુકેરિસ્ટ (Eucharist) ખ્રિસ્તીઓમાં ધરાવાતું ઈશુના માંસ અને લોહીનું સૂચક પાઉં, રોટી અને દારૂનું નૈવેદ્ય) એ જંગલી જાતિઓની જીવતી રહેલી અતિ પ્રાચીન પ્રથા છે. એ લોકો કોઈ કોઈ વાર પોતાના મહાન મુખીઓને મારી નાખતા અને જે ગુણોએ તેમના મુખીઓને મહાન બનાવ્યા હતા તે ગુણો પોતામાં ઊતરે તે માટે તેમનું માંસ ખાતા. તેઓ એમ માનતા કે આમ કરવાથી જે ગુણોએ પોતાના મુખીઓને મહાન, બહાદુર અને ડાહ્યા બનાવ્યા હતા તે તેમનામાં આવશે અને એક જ માણસને બદલે આખીય જાતિ બહાદુર અને શાણી બનશે. માનવ-બલિદાન એ પણ યહૂદીઓનો વિચાર હતો; જેહોવાહ તરફથી ઘણીયે સજાઓ થયા છતાં તેઓ તેને વળગી રહેલા. ઈશુ તો શાંત અને પ્રેમાળ હતા; પરંતુ યહૂદી માન્યતાઓમાં તેમને બંધબેસતા બનાવવા માટે પ્રાયશ્ચિત્તરૂપે મનુષ્યનું બલિદાન કે માનવીને બોકડો બનાવવાની પ્રથા લાવવી જ પડી. આ ઘાતકી વિચારે ખ્રિસ્તી ધર્મને ખુદ ઈશુના ઉપદેશથી અળગો પાડ્યો અને જુલમ તથા ખૂનામરકીની ભાવના તેનામાં વિકસાવી.
* * *
કંઈ પણ કરવું હોય ત્યારે એમ કહો કે ‘તે મારો સ્વભાવ છે;’ કદીય એમ ન કહો કે ‘તે મારો ધર્મ છે.’
‘સત્યનો જ જય થાય છે, અસત્યનો નહીં.’ सत्यमेव जयते नाऽनृतम्। સત્યને વળગી રહો એટલે તમે ઈશ્વરને મેળવ્યો જ સમજો.
* * *
ભારતમાં અતિ પ્રાચીન સમયથી બ્રાહ્મણોએ પોતાને બધા કાયદાથી પર લેખ્યા છે; તેઓ પોતે દેવતાઓ હોવાનો દાવો કરે છે. તેઓ અકિંચન છે, પણ તેઓની નબળાઈ એ છે કે તેઓ સત્તાની પાછળ પડે છે. ભારતમાં છ કરોડ માણસો એવા છે કે જેઓ સારા છે, નીતિમાન છે અને કોઈ મિલકત ધરાવતા નથી. તેઓ તેવા હોવાનું કારણ એ છે કે જન્મથી જ તેમને શીખવવામાં આવ્યું છે કે તેઓ કાયદાથી પર છે, શિક્ષાથી પર છે. તેઓ પોતાને ‘દ્વિજ’ માને છે, એટલે કે ઈશ્વરના પુત્રો લેખે છે.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



