
મેળામાંના ફાળકા-હીંચકાઓ પેઠે શરીરોની અનંત હારમાળાઓ છે; જાણે કે તેમાં જીવાત્માઓ બેસે છે. જાણે કે આ હારમાળાઓ સનાતન છે; જીવાત્માઓ તેમાંથી નીકળી પડે છે, પણ ઘટનાઓ નિત્ય ફરી ફરીને થયા જ કરે છે; અને આ રીતે ભૂત અને ભવિષ્ય જાણી શકાય છે, કારણ કે સર્વ કંઈ વાસ્તવિક રીતે તો વર્તમાન જ છે. આત્મા જ્યારે એક અમુક પ્રકારના ક્રમમાં હોય ત્યારે તેણે તે ક્રમના અનુભવો લેવા જ પડે છે. એક ક્રમમાંથી આત્માઓ બીજા ક્રમમાં જાય છે; કોઈક ક્રમમાંથી તેઓ પોતે બ્રહ્મ છે એવો સાક્ષાત્કાર થવાથી કાયમને માટે મુક્ત થઈ જાય છે. એક ક્રમની એક પ્રધાન ઘટનાને પકડીને તેને વળગી રહેવાથી ઘટનાની આખી સાંકળ ખેંચી શકાય અને તેને જાણી શકાય. આ શક્તિ સરળતાથી મેળવી શકાય, પણ તેની કંઈ કિંમત નથી; વળી તેનો અભ્યાસ કરવામાં આપણા આધ્યાત્મિક બળનો તેટલો ભાગ વેડફાઈ જાય છે. આ વસ્તુઓની પાછળ ન પડો; ઈશ્વરને ભજો.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



