
૧. આત્મનિંદા ન કરવી એ આપણું પ્રથમ કર્તવ્ય છે. આગળ વધવા ઇચ્છનારમાં પ્રથમ આત્મવિશ્વાસ હોવો જોઈએ અને બીજું ઈશ્વર ઉપર શ્રદ્ધા જોઈએ. જેને પોતાનામાં શ્રદ્ધા નથી તેને ઈશ્વરમાં શ્રદ્ધા શી રીતે હોઈ શકે ?
૨. દરેક માણસે પોતાનો આદર્શ અપનાવવો જોઈએ અને એ સિદ્ધ કરવાને પ્રયત્નશીલ થવું જોઈએ. સિદ્ધ થવાની જેની જરાયે આશા નથી એવા બીજા માણસોના આદર્શાે લેવા, તેના કરતાં પોતાનો આદર્શ અપનાવવો અને તે માટે પ્રયત્નશીલ થવું, એ પ્રગતિનો નિશ્ચિત માર્ગ છે.
૩. આપણે પાસેમાં પાસેના, અરે, અત્યારે આપણા હાથમાં આવી પડેલા કર્તવ્યનું સારી રીતે પાલન કરવાથી આપણે આપણી જાતને મજબૂત બનાવીએ છીએ અને એ રીતે પગલે પગલે આપણું બળ વધારતા જઈને આપણે એવી પણ અવસ્થાએ પહોંચીએ કે જ્યારે જીવનમાં અને સમાજમાં જેની ખૂબ અભિલાષા સેવતા હોઈએ તેવાં માનદાયક કર્તવ્યો બજાવવાને આપણે હકદાર બનીએ.
૪. દરેક કર્તવ્ય પવિત્ર છે અને કર્તવ્યપાલન એ ઈશ્વરની પૂજાનું ઊંચામાં ઊંચું સ્વરૂપ છે.
૫. તમે એક કાર્ય કરતા હો ત્યારે એથી પાર કાંઈ જોવાનો વિચાર ન કરો. જે કાર્ય કરો તે ઉપાસના તરીકે, શ્રેષ્ઠ ઉપાસના તરીકે કરો અને એ સમય દરમિયાન તમારા સમગ્ર જીવનને એમાં ઓતપ્રોત રાખો.
૬. નાનામાં નાનાં, ક્ષુદ્રમાં ક્ષુદ્ર લાગતાં કામ પ્રત્યે પણ તુચ્છકારથી જોવું ન જોઈએ.
૭. કોઈ માણસને સહાય કરવી હોય, તો એ માણસની વૃત્તિ તમારા તરફ કેવી થશે એનો વિચાર કરવાની શી જરૂર છે ? જો તમારે મહાન કે સારું કાર્ય કરવું હોય, તો તેનું પરિણામ શું આવશે એનો વિચાર તમારે કરવો જોઈએ નહિ.
૮. પ્રમાદીપણું સર્વ પ્રયાસે ટાળવું જોઈએ. કાર્યશીલ થવું એટલે પ્રતિકાર કરવો. સર્વ માનસિક તેમજ શારીરિક અનિષ્ટનો સામનો કરો; જ્યારે તમે સામનો કરવામાં સફળ થશો ત્યારે તમને શાંતિ મળશે.
૯. બુદ્ધિપૂર્વક અને વૈજ્ઞાનિક રીતે કાર્ય કરવું તે કર્મયોગ એમ ગીતામાં કહેલું છે; કેમ કાર્ય કરવું તે જાણવાથી માણસ મહાન પરિણામો લાવી શકે છે.
૧૦. ભવિષ્યમાં શું થવાનું છે તેની જ જે ગણતરી કર્યા કરે તે કદી કશું સિદ્ધ કરી શકતો નથી. તમે જે સાચું અને શુભ માન્યું હોય, તે તુરત જ કરવા લાગો.
૧૧. નાનામાં નાનું કામ પણ જો યથાર્થ રીતે કરવામાં આવ્યું હોય તો તે હેરતભર્યાં પરિણામો લાવે છે; એટલા માટે સૌ કોઈ પોતાનાથી બને તેટલું થોડું યથાર્થ રીતે કરે.
૧૨. જેઓ મદદ ‘મળી જ’ રહેશે તેમ દૃઢતાપૂર્વક માને છે, તેઓ જ કામ કરી શકે છે. તેઓ સીધા કાર્યક્ષેત્રમાં ઝંપલાવે છે.
૧૩. જો કાર્ય મનગમતું હોય તો મૂર્ખ શિરોમણિ પણ તેને સિદ્ધ કરી શકે, પરંતુ ખરો બુદ્ધિમાન મનુષ્ય તો એ જ છે કે જે કોઈ પણ કાર્યને પોતાની રુચિને અનુકૂળ બનાવી શકે. કોઈ પણ કાર્ય ક્ષુદ્ર નથી.
૧૪. દરેક કાર્યને ઉપહાસ, પ્રતિકાર અને પછી સ્વીકાર, એ ત્રણ તબક્કાઓમાંથી પસાર થવું જ પડે છે. વિચારોમાં પોતાના જમાનાથી આગળ વધેલો પ્રત્યેક મનુષ્ય અવશ્યમેવ ગેરસમજનો ભોગ બને છે.
૧૫. સખત પરિશ્રમ કરો, દૃઢ બનો અને પરમેશ્વરમાં શ્રદ્ધા રાખો, કામે લાગી જાઓ… જો તમે કામમાં લાગી જશો તો સઘળાં સાધનો તમને પ્રાપ્ત થશે.
૧૬. સમયાનુસાર કર્તવ્ય બજાવ્યે જવું એ સૌથી ઉત્તમ માર્ગ છે.
૧૭. મેદાનમાં આવો, ભાઈ ! જિંદગી આખી સૂઈ રહેવાનું હોય? સમય વેગથી વહી જાય છે. શાબાશ ! એ જ ખરો રસ્તો છે.
૧૮. જ્યારે તમે કોઈ કામ કરવાનું વચન આપો ત્યારે તમારે તે બરાબર નિયત સમયે કરવું જોઈએ. નહિતર લોકોને તમારામાંથી વિશ્વાસ ઊઠી જાય.
૧૯. એક વાર કાર્યમાં લાગી જાઓ. એટલે એટલી બધી જબરજસ્ત શક્તિ તમારામાં આવવા લાગશે કે તમારે એને ઝીલવી કઠણ થઈ પડશે.
૨૦. પરિણામની જે પરવા કરતો નથી એવા માણસને બધાં કર્તવ્યો એકસરખાં સારાં છે.
૨૧. જિંદગીમાં મેં શીખેલા અનેક મહાન બોધપાઠોમાંનો એક એ છે કે જેટલું ધ્યાન કાર્યના ધ્યેય તરફ આપવું જોઈએ તેટલું જ તેના સાધન તરફ પણ આપવું જોઈએ.
૨૨. બને તેટલું ઉત્તમ કાર્ય કરો. ‘બધુંય પાણી ખૂટી જશે ત્યારે નદી ઓળંગીશું’, એમ વાટ જોતા બેસી ન રહો.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



